Corona Vaccination: આજથી કોરોનાના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે.આ તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો રસી લઈ શકશે. સરકારે 1 જાન્યુઆરી 1977ની કટ ઓફ ડેટ નક્કી કરી છે. એટલે કે, 1 જાન્યુઆરી 1977ની પહેલાં જન્મેલા તમામ લોકો રસી લઈ શકશે.આ પહેલાં 1 માર્ચથી શરૂ થયેલા બીજા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી લેવા માટે કોમોર્બિડિટીની શરત હતી. 20 ગંભીર બીમારીઓ સામે લડી રહેલા 45થી 59 વર્ષના લોકોને પણ અત્યાર સુધી રસી આપવામાં આવતી હતી.
ગયા અઠવાડિયે આરોગ્ય વિભાગની બેઠકમાં રજૂ કરવામાં આવેલા આંતરીક સર્વે પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસને કારણે 30 માર્ચની સવાર સુધીમાં 1 લાખ 62 હજાર લોકોનાં મોત થયાં હતાં. જેમાં 90 ટકાથી વધુ કિસ્સાઓમાં મરનારની ઉંમર 45 વર્ષથી વધુની જ જોવા મળી છે. આને કારણે 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને હાઇ રિસ્ક ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.અને 1 એપ્રિલથી સૌને વેક્સિનેટ કરવાની યોજના બનાવવામાં આવી છે. પાછલા થોડા દિવસથી દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. રોજેરોજ નવા નવા કેસની પીક આવી રહી છે. 30 માર્ચની સવારે 8 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 56,211 નવા કેસ નોંધાયા હતા. આને કારણે એક્ટિવ કેસનો લોડ પણ વધીને 5.40 લાખ સુધી પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં મળીને દેશના 79.64 ટકા એક્ટિવ કેસ છે.
46 જિલ્લામાં કોરોના સૌથી પ્રભાવિત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રના 25, ગુજરાતના 4 હરિયાણાના 3 તમિલનાડુના 3 , છત્તીસગઢના 2 મધ્યપ્રદેશના 2 પશ્ચિમ બંગાળના 2 દિલ્લીના 1, જમ્મુ કશ્મીરના 1 કર્ણાટક 1 બિહારના 1 જિલ્લામાંથી સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
કેન્દ્રએ જિલ્લાવાર રણનીતિ બનાવવા માટે કહ્યું
કેન્દ્ર તરફથી હવે રાજ્યોને રણનીતિ બનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં એવુ કેટલાક રાજ્યોમાંથી સામે આવી રહ્યું છે કે કેટલાક જિલ્લાઓમાં સૌથી વધુ પ્રકોપ હોય. કેટલાક જિલ્લાઓમાં સૌથી ઓછો પ્રકોપ હોય. એવામાં જિલ્લાવાર રણનીતિ બનાવવા પર રાજ્ય વધારે કારગર રીતે કામ કરી રહી છે. સાથે જ તંત્રએ ખામીઓ પર ધ્યાન આપવા માટે કહ્યું છે. કેન્દ્રએ દેશના 46 જિલ્લા સાથે શનિવારે બેઠક કરી જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ છે. કેન્દ્રએ કહ્યું હતું કે દેશમાં 90 ટકા કોરોનાથી થનારી મોત 45થી વધારે આયુના લોકોની છે.