વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, 3 દિવસ સુધી પેટાચૂંટણીમાં ભાજપની રણનીતિ પર કરશે ચર્ચા

વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મહારાષ્ટ્ર પ્રવાસ પર આવશે. તે 17,18 અને 19 ફેબ્રુઆરીએ નાગપુર, પૂણે અને કોલ્હાપુરના પ્રવાસ પર આવશે.

વડાપ્રધાન મોદી બાદ અમિત શાહ મહારાષ્ટ્ર પ્રવાસે, 3 દિવસ સુધી પેટાચૂંટણીમાં ભાજપની રણનીતિ પર કરશે ચર્ચા
Home Minister Amit Shah
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Feb 10, 2023 | 3:36 PM

આજે (10 ફેબ્રુઆરી) વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ પ્રવાસ પર છે. આ પ્રવાસમાં તે મહારાષ્ટ્રને બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપશે. વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મહારાષ્ટ્ર પ્રવાસ પર આવશે. તે 17,18 અને 19 ફેબ્રુઆરીએ નાગપુર, પૂણે અને કોલ્હાપુરના પ્રવાસ પર આવશે. આ પ્રવાસ દરમિયાન શાહ ઘણા વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ભાજપની સંગઠનાત્મક બેઠકોમાં સામેલ થશે. આગામી પૂણેના કસબા અને પિંપરી ચિંચવડના ચિંચવડ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીતની રણનીતિ પર ચર્ચા કરશે.

આ સિવાય અમિત શાહ આગામી મહાપાલિકા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપની ક્ષમતા અને ભવિષ્યમાં તાકાત વધારવા માટે તૈયારીઓની સમિક્ષા કરશે. ભાજપ ચૂંટણીને જેટલી ગંભીરતાથી લે છે, તે વારંવાર સાબિત થયું છે. કસબા અને ચિંચવડ પેટાચૂંટણી માટે વોટિંગ 26 ફેબ્રુઆરીએ થવાનું છે. આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પૂણે, નાગપુર અને કોલ્હાપુરના પ્રવાસે આવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarati video: અમદાવાદ મનપાનું વર્ષ 2023-24 માટેનું રૂ.8400 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં રાહત

વિકાસ કામોનું લોકાર્પણ, શિવાજી જયંતીથી જોડાયેલા કાર્યક્રમ

18 ફેબ્રુઆરીએ ‘મોદી@ 20’ પુસ્તકનું પ્રકાશન થશે. તે સિવાય 19 ફેબ્રુઆરીએ શિવાજી જયંતી છે. જાણકારીની સલાહ મુજબ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી અને શિવાજી મહારાજની જયંતીના સંયોગનો ફાયદો ઉઠાવતા અમિત શાહને મહારાષ્ટ્રમાં બોલાવ્યા છે. સ્વર્ગીય બાબાસહેબ પુરંદરેની સંકલ્પનાથી તૈયાર થયેલા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત કાર્યક્રમમાં તે હાજર રહેશે.

નાગપુર, પૂણે અને કોલ્હાપુરમાં 3 દિવસનો કાર્યક્રમ

આ પહેલા 17 ફેબ્રુઆરીએ અમિત શાહ નાગપુરમાં ઘણા વિકાસ કામોનું લોકાર્પણ કરશે અને 19 ફેબ્રુઆરીએ કોલ્હાપુરમાં તે એક સામાન્ય સભાને સંબોધિત કરશે.

પૂણેની કસબા વિધાનસભા પેટાચૂંટણીનું ગણિત

પૂણેની કસબા પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસનું મોટુ ટેન્શન હટી ગયું છે, રાહુલ ગાંધીના એક ફોનથી બળવાખોર ઉમેદવાર બાલાસાહેબ દાભેકરે પોતાની ઉમેદવારી પરત લઈ લીધી છે. ભાજપના સ્વર્ગસ્થ ધારાસભ્ય મુક્તા તિલકના નિધન બાદ અહીં તેમના પતિ શૈલેશ તિલકને ભાજપે ટિકિટ આપી નથી. તેના બદલે ભાજપે હેમંત રાસનેને ઉમેદવાર બનાવ્યા છે.

તિલક પરિવારને ટિકિટ ના આપવા પર બ્રાહ્મણ સમાજની નારાજગી ચર્ચાનો વિષય બની છે. આ કારણ છે કે બ્રાહ્મણ મહાસંઘના અધ્યક્ષ અનિલ દવે ભાજપના વોટ કાપવા માટે ચૂંટણી લડી રહ્યા છે. આ વિસ્તારમાં બ્રાહ્મણ મતદાતા 30 ટકા છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીના સંયૂક્ત ઉમેદવાર તરીકે કોંગ્રેસના રવિન્દ્ર ઘંગેકરને ટિકિટ આપવામાં આવી છે.

પિંપરી ચિંચવાડની વિધાનસભા પેટાચૂંટણીનું ગણિત

પિંપરી ચિંચવડના ભાજપના સ્વર્ગસ્થ ધારાસભ્ય લક્ષ્મણ જગતાપની પત્ની અશ્વિની જગતાપને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીના સંયૂક્ત ઉમેદવાર તરીકે એનસીપીના નાના કાટેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પણ મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેનાના નેતા રાહુલ કલાટેએ બળવાખોર બનીને ઉમેદવારી નોંધાવી છે.

શિવસેના નેતા સચિન આહિર તેમને પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે મનાવવા માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમને ફોન કરીને ઉમેદવારી પરત લેવાનો આગ્રહ કર્યો છે. જો આજે રાહુલ કલાતે ઉમેદવારી પરત લેતા નથી તો મામલો ત્રિકોણીય બની જશે અને મહાવિકાસ અઘાડીના મત વહેંચાઈ જશે. ત્યારે આ બધાની વચ્ચે અમિત શાહના મહારાષ્ટ્ર પ્રવાસની શું અસર જોવા મળશે, તે જોવાની વાત રહેશે.