મુંબઈમાં એક જ ટ્રેક પર આવી ગઈ 2 લોકલ ટ્રેન, મોટો અકસ્માત ટળ્યો, ત્યારે જુઓ વીડિયો

મુંબઈની હાર્બર લાઇન પર બુધવારે એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ, જ્યારે એક મુસાફર લોકલ ટ્રેનમાંથી પડી ગયો, તેના કારણે એક ટ્રેન ઊભી રહી હતી અને એ જ ટ્રેક પર પાછળથી બીજી ટ્રેન ધસમસતી આવી ગઈ. ટ્રેનના લોકો પાઇલટની સમયસુચકતાને કારણે મોટો રેલવે અકસ્માત ટળી ગયો.

| Edited By: | Updated on: Jul 03, 2025 | 9:35 PM

બુધવારે મુંબઈમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. માનખુર્દથી વાશી જતી લોકલ ટ્રેનમાંથી એક મુસાફર અચાનક નીચે પડી ગયો હતો. આ કારણે માનખુર્દથી વાશી જતી લોકલ ટ્રેનને થોડા સમય માટે ત્યાં રોકી દેવામાં આવી હતી. આ જ સમય દરમિયાન, એ જ ટ્રેક પર પાછળથી બીજી લોકલ ટ્રેન ધસમસતી આવી હતી. જેના કારણે થોડા સમય માટે એક પ્રકારના ભયનું વાતાવરણ સર્જાયું. જોકે, પાછળથી આવતી ટ્રેનના લોકો પાઇલટે, સમયસર બ્રેક લગાવીને ટ્રેનની ગતિને કાબૂમાં લઈને આગળ ઉભેલી ટ્રેનથી થોડા અંતરે ટ્રેનને થોભાવી દીધી. જેના કારણે મુંબઈમાં મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ.

મુંબઈની હાર્બર લાઇન પર એક જ ટ્રેક પર બે ટ્રેન આવી જવાને કારણે, એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી જવા પામી હતી. આ અંગે સામે આવેલ વિગતો અનુસાર માનખુર્દથી વાશી જઈ રહેલી એક લોકલ ટ્રેનમાં સવાર એક મુસાફર અચાનક નીચે પડી ગયો. મુસાફર પડી જતાં જ ટ્રેનના ડબ્બામાં હો હા મચી જવા પામી હતી. આ પછી, ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી. કેટલાક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા, ત્યારે તેમણે જોયું કે પાછળના સ્ટેશન એટલે કે પનવેલથી બીજી એક લોકલ ટ્રેન ખૂબ જ ઝડપથી એ જ ટ્રેક ઉપર આવી રહી છે.

લોકો પાઇલટને કારણે અકસ્માત ટળી ગયો

ટ્રેનને આવતી જોઈને બધા મુસાફરો ખૂબ જ ગભરાઈ ગયા, પરંતુ પાછળથી આવતી લોકલ ટ્રેનના લોકો પાયલટે સમય સુચકતા દર્શાવીને ગતિને કાબૂમાં લઈને સલામત અંતરે ટ્રેનને રોકી દેવાઈ હતી. આ પછી, ઘાયલ મુસાફરને RPF અને GRP કર્મચારીઓએ ટ્રેનની નીચેથી બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, લોકલ ટ્રેનો લગભગ 20 મિનિટ સુધી તે જ જગ્યાએ ઉભી રહી. પનવેલથી આવતી ટ્રેનના લોકો પાઇલટની સુઝબુઝને કારણે, મોટો ટ્રેન અકસ્માત ટળી ગયો, નહીંતર એક ટ્રેનની સાથે બીજી ટ્રેન અથડાવવાનો મોટો અકસ્માત થઈ શક્યો હોત.

5 મુસાફરોના મોત થયા હતા

આ પહેલા, લગભગ ત્રણ અઠવાડિયા પહેલા મુંબઈમાં, લોકલ ટ્રેનમાંથી પડી જવાથી 5 લોકોના મોત થયા હતા. જ્યારે, આ ઘટનામાં 10 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ક્ષમતા કરતા વધુ મુસાફરો ડબ્બામાં ચડી જવાને કારણે દરવાજા ઉપર રહેતી ભીડભાડને કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..