
ભારતના ફૂડ સેફ્ટી રેગ્યુલેટર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પેકેજિંગના નિયમોમાં ફેરફાર કરતાં પાન મસાલાની પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક-લેમિનેટેડ પેકેજિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો અનુસાર હવે પાન મસાલાનું પેકેજિંગ માત્ર કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય કુદરતી સામગ્રીથી જ કરી શકાશે. આમાં પોલિઇથિલિન, પોલિપ્રોપિલિન, પોલિએસ્ટર, PVC અન્ય સિન્થેટિક પોલિમર, કોપોલિમર, લેમિનેટ, એલ્યુમિનિયમ ફોઇલ અને મેટલાઇઝ્ડ લેયરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. જોકે ટિન અને કાચના કન્ટેનરનો અગાઉની જેમ ઉપયોગ કરી શકાશે.
આ સુધારો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) સુધારા નિયમ, 2026 હેઠળ સૂચિત કરવામાં આવ્યો છે અને સત્તાવાર ગેઝેટમાં પ્રકાશનની તારીખથી અમલમાં આવશે. પેકેજિંગ પ્લાસ્ટિક મેનેજમેન્ટ નિયમો, 2016 નું પણ પાલન કરે છે.
ભારતમાં વાર્ષિક આશરે 3.90 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. આ દરરોજ સરેરાશ 10,689 ટન જેટલું છે. સૂત્રો અનુસાર, આ કચરામાંથી માત્ર 60 ટકા જ રિસાયકલ થાય છે જ્યારે બાકીનો 1.65 મિલિયન ટન કચરો લેન્ડફિલ, ખુલ્લા ડમ્પિંગ ગ્રાઉન્ડ, સળગાવવાથી અથવા પર્યાવરણમાં ફેલાઈને નિકાલ પામે છે.
પ્લાસ્ટિક કચરામાં સતત વધારો થવાનું સૌથી મોટું કારણ પેકેજિંગ, પરિવહન, ઈ-કોમર્સ, છૂટક અને ઉત્પાદન ક્ષેત્રોમાં પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ છે. નિષ્ણાતો માને છે કે વાસ્તવિક પ્લાસ્ટિક કચરો સત્તાવાર આંકડા કરતા ઘણો વધારે હોઈ શકે છે કારણ કે અનૌપચારિક અને છૂટાછવાયા કચરાના સંપૂર્ણ રેકોર્ડ ઉપલબ્ધ નથી.
આ જ કારણ છે કે સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા મટીરીયલ ફ્લો વિશ્લેષણમાં (Material Flow Analysis) વપરાયેલ પ્લાસ્ટિકની વાસ્તવિક માત્રા સરકારી રેકોર્ડ કરતા વધુ હોવાનું જાણવા મળ્યું છે.
ભારતમાં વપરાતા લગભગ 30 ટકા પ્લાસ્ટિક પેકેજિંગમાં જાય છે. આ પેકેજિંગનો મોટાભાગનો ઉપયોગ પછી તરત જ કચરામાં ફેરવાઈ જાય છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફ્લેક્સિબલ પ્લાસ્ટિક પેકેજિંગ છે. જેમાં પ્લાસ્ટિક ફિલ્મ, પાઉચ, રેપર્સ, લાઇનર્સ અને કેરી બેગ સામેલ છે.
મોટાભાગના ફ્લેક્સિબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત એક જ વાર થાય છે. ઉદાહરણ તરીકે, નાસ્તાના પેકેટ, શેમ્પૂ સેચેટ, ડિટર્જન્ટ પાઉચ, ફૂડ રેપર્સ, વગેરે ખોલ્યા પછી તરત જ ફેંકી દેવામાં આવે છે. આ જ કારણ છે કે પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટિક કચરાનો મોટો હિસ્સો આ શ્રેણીમાંથી આવે છે.
સરકારી ડેટામાં મુખ્યત્વે ઔપચારિક કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ સુધી પહોંચતા પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે. જો કે, અનૌપચારિક અને ગ્રામીણ વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઘણા પ્રકારો નોંધાયેલા નથી. તેથી વાસ્તવિક પ્લાસ્ટિક કચરો સત્તાવાર આંકડા કરતા વધારે હોઈ શકે છે.
ઓનલાઈન શોપિંગ સાથે, પેકેજિંગ કચરો પણ ઝડપથી વધ્યો છે. એક સામાન્ય ઓનલાઈન ડિલિવરીમાં પોલીમેઈલર્સ, પ્લાસ્ટિક રેપ, ટેપ, લેબલ્સ, વધારાનું પેકેજિંગ વગેરેનો સમાવેશ થાય છે. દરેક ઓર્ડર સાથે નવો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. ભારતનું ઈ-કોમર્સ બજાર સતત વધી રહ્યું છે અને તેથી પેકેજિંગ કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
Material Flow Analysis (MFA) અનુસાર ભારતમાં પ્લાસ્ટિકના કુલ વપરાશમાંથી આશરે 17 ટકા હિસ્સો ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલો છે. અહીં પ્લાસ્ટિકનો અર્થ મુખ્યત્વે પોલિએસ્ટર, નાયલોન અને અન્ય સિન્થેટિક ફાઇબરથી છે. આ કુદરતી રેસા નહીં પરંતુ પોલિમર આધારિત સામગ્રી છે.
આવનારા વર્ષોમાં માત્ર કચરો એકત્રિત કરવા અને રિસાયક્લિંગ પર આધાર રાખવો પૂરતો રહેશે નહીં. વાસ્તવિક ઉકેલ પ્લાસ્ટિકના ઉપયોગને સ્રોત સ્તરે ઘટાડવા, ટકાઉ વૈકલ્પિક સામગ્રી અપનાવવા, પુનઃઉપયોગને (Reuse) પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ પર ઓછું ભારણ નાખે તેવું પેકેજિંગ વિકસાવવામાં છે. ભારતમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવાનો સૌથી અસરકારક રસ્તો એ રહેશે કે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને સૌથી ઝડપથી કચરામાં ફેરવાઈ જતા પ્લાસ્ટિક ઉત્પાદનો અને પેકેજિંગને પ્રાથમિકતાના આધારે નવા અને ટકાઉ વિકલ્પોથી બદલવામાં આવે.