
પનીરનું શાક મોટાભાગના લોકોને પસંદ હોય છે. જો તમે એ જ મટર પનીર અને પાલક પનીર ખાઈને કંટાળી ગયા હોવ, તો તમે ઘરે જ સ્વાદિષ્ટ ‘પનીર દો પ્યાઝા’ ટ્રાય કરી શકો છો. આમાં પનીરની સાથે ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
મસાલા સાથે ચડી ગયા પછી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. ખાસ વાત એ છે કે, તેને બનાવવા માટે બહુ વધારે તૈયારીની જરૂર નથી હોતી. કેટલીક સરળ સામગ્રી સાથે તમે તેને ઘરે જ તૈયાર કરી શકો છો.
‘પનીર દો પ્યાઝા’ બનાવવા માટે લગભગ 250 ગ્રામ પનીર લો. આની સાથે બે થી ત્રણ ડુંગળી, બે ટામેટાં, એક લીલું મરચું, થોડું આદુ અને લસણ લો. મસાલામાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું, સ્વાદ વધારવા માટે થોડી કસૂરી મેથી સાથે લીલા ધાણા પણ લો.
સાથે જ ગ્રેવી માટે થોડું દહીં અથવા ક્રીમ વાપરવાથી શાક વધુ સ્વાદિષ્ટ બને છે. જો તમને વધારે મસાલેદાર ખાવાનું પસંદ ન હોય તો લાલ મરચાનું પ્રમાણ ઓછું રાખો.
સૌથી પહેલા પનીરને નાના ટુકડામાં કાપી લો. એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરીને પનીરને આછું સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો અને અલગ રાખી દો. હવે એ જ કઢાઈમાં થોડું વધુ તેલ નાખો. તેમાં સમારેલી ડુંગળી નાખીને હળવી રીતે શેકો.
ત્યારબાદ આદુ, લસણ અને લીલું મરચું નાખો. થોડી વાર પછી સમારેલા ટામેટાં નાખીને ચડવા દો. ટામેટાં જ્યારે નરમ થઈ જાય ત્યારે હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખો તથા ઠંડુ થાય એટલે તેની ગ્રેવી બનાવી લો.
હવે કઢાઈમાં થોડું તેલ ગરમ થવા દો અને તૈયાર કરેલી ગ્રેવીને લગભગ 5 થી 10 મિનિટ પકાવો. ગ્રેવી સારી રીતે સંતળાઈ જાય પછી દહીં અથવા ક્રીમ ઉમેરીને હલાવો. હવે તેમાં સાંતળેલું પનીર નાખો અને થોડી વાર ચડવા દો.
પનીર દો પ્યાઝાનો ખાસ સ્વાદ તેમાં ઉમેરવામાં આવતી ડુંગળીથી આવે છે. આ માટે એક ડુંગળીને મોટા ટુકડામાં કાપીને અલગથી હળવી સાંતળી લો. પનીર જ્યારે મસાલામાં સારી રીતે ચડી જાય, ત્યારે ડુંગળીના આ ટુકડાઓને કઢાઈમાં નાખો.
ઉપરથી કસૂરી મેથી અને થોડો ગરમ મસાલો નાખીને શાકને બે મિનિટ વધુ પકાવો. છેલ્લે લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દો. હવે તમારું ગરમાગરમ ‘પનીર દો પ્યાઝા’ તૈયાર છે. તેને રોટલી, નાન કે પરાઠા સાથે સર્વ કરો.