
જો તમારા ઘરના પંખાના બ્લેડ ધૂળથી ઢંકાયેલા હોય, તો શક્ય તેટલી વહેલી તકે તેને સાફ કરો. ધૂળવાળો પંખો સામાન્ય લાગે છે. પરંતુ તે સીધો તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. દરેક ખુલ્લી જગ્યામાંથી આવતી હવા સાથે સૂક્ષ્મ ધૂળના કણો ઘરમાં પ્રવેશ કરે છે. ઘણી વાર ધૂળ દેખાતી નથી પરંતુ જ્યારે આ ધૂળના કણોની સંખ્યા વધે છે ત્યારે તેઓ ધૂળના સ્તર તરીકે દેખાય છે.
જો લાંબા સમય સુધી સફાઈ ન કરવામાં આવે તો આ પરત વધુ જાડી બનતી જાય છે. પંખા પરના બ્લેડ હવા પૂરી પાડવાનું કામ કરે છે. જો તેમને નિયમિતપણે સાફ કરવામાં ન આવે તો ધૂળની પરત બને છે. ખાસ કરીને કિનારીઓ પર. મોટાભાગના લોકો લાંબા સમય સુધી તેમના પંખા સાફ કરતા નથી.
પંખાના બ્લેડનું મુખ્ય કામ હવાને નીચેની તરફ ફેંકવાનું છે. જ્યારે બ્લેડની સપાટી સ્વચ્છ અને એકદમ સારી હોય તો તે હવાને સરળતાથી અને વધુ અસરકારક રીતે ફેંકવાનું કામ કરી શકે છે. પરંતુ બ્લેડ પર ધૂળની પરત જમા થતાં તેની સપાટી રફ (Rough) થઈ જાય છે. તેના કારણે પંખાના બ્લેડને હવા ફેંકતી વખતે વધુ મહેનત કરવી પડે છે. આ જ કારણ છે કે પંખાની સારી રીતે સફાઈ કર્યા પછી તેની હવા પહેલા કરતાં વધુ જોરદાર અને અસરકારક લાગતી હોય છે.
ધૂળના કારણે બ્લેડની કાર્યક્ષમતા ઘટી શકે છે. જેથી હવાની ઝડપ જાળવવા માટે મોટર પર વધુ ભાર પડે છે. લાંબા સમય સુધી આવું ચાલે તો મોટર વધુ ગરમ થઈ શકે છે. તેની આયુષ્ય ઘટી શકે છે. મોટર ખરાબ થવાની શક્યતા પણ વધી જાય છે. ઘણી વખત રિપેરિંગનો ખર્ચ એટલો વધી જાય છે કે નવો પંખો ખરીદવાની જરૂર પડી શકે છે.
જ્યારે પંખો પૂરતી હવા આપતો નથી ત્યારે મોટાભાગે લોકો કૂલર, એસી અથવા અન્ય પંખાનો વધુ ઉપયોગ કરે છે. આ વધારાના ઉપકરણોના ઉપયોગને કારણે ઘરમાં વીજળીનો વપરાશ વધે છે. પરિણામે વીજળીનું બિલ પણ વધી શકે છે. નિષ્ણાતોના મુજબ, પંખાના બ્લેડ પર માત્ર 0.5 મીમી ધૂળની પરત પણ તેની કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે.
દર 15 દિવસમાં એક વખત પંખાના બ્લેડને સૂકા અથવા હળવા ભીના કપડાથી સાફ કરવું જોઈએ. પંખાની મોટરના આસપાસ ધૂળને જમા થવા દેવી નહીં. નિયમિત સફાઈથી પંખાની હવા સારી મળે છે અને તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે. સમયસર સફાઈ કરવાથી મોટર પરનો ભાર ઓછો થાય છે.