Ahmedabad: શહેરના વેપારીને 3 કરોડની લોન આપવાના બહાને રૂપિયા 11 લાખની છેતરપિંડી કરનાર 5 આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ મથકે પહોચતા સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના નવરંગપુરા પોલીસ મથકે છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી. જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના વેપારીને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી. જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈ નો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી. જે માટે તેમણે ચેન્નઈના રામશિવાનો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીનો નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી. આરોપી ગૌરાંગ પંડ્યા એ ફરિયાદીને કહ્યું હતું કે, તેમને આઠ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે. અને ત્રણ કરોડ ફરિયાદીને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે. જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તેમ મળી કુલ 11 લાખ 15 હજાર મેળવી લઈને છેતરપિંડી કરવામાં આવી હતી.
આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માંગવામાં આવતા હતા. પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવા ની શંકા ગઈ હતી. જેથી તપાસ કરતાં હકીકત સામે આવી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે, કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી
આ પણ વાંચો: NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો
Published On - 7:29 pm, Sat, 4 December 21