
ભારતથી આશરે 15,000 કિલોમીટર દૂર આવેલા વેનેઝુએલામાં ગઈકાલે, બુધવારે, સતત બે મોટા ભૂકંપના આંચકાએ વિનાશ વેર્યો હતો. ભૂકંપના કારણે વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત અનેક શહેરોમાં વ્યાપક નુકસાન થયું હતું. ઘણી ઇમારતો પતાના મહેલની માફક તુટી પડી. વિવિધ સ્થળોએ રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગઈ. ભૂકંપ બાદની રાહત અને બચાવ કામગીરી તીવ્ર ગતીએ ચાલી રહી છે. જો કે હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલો છે. તો બીજી તરફ આ જ સમયે જાપાનમાં પણ એક મોટો ભૂકંપ આવ્યો છે, છતાં ત્યાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે નથી આવ્યા.
વેનેઝુએલામાં 7.2 અને 7.5 ની તીવ્રતાના ઉપરા છાપરી આવેલા બે ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં વ્યાપક ભય ફેલાયો હતો, જેના કારણે અનેક શહેરોમાં ઇમારતો ખાલી કરાવવાની ફરજ પડી હતી. વેનેઝુએલામાં આવેલ ભૂકંપના આંચકાની અસર બ્રાઝિલમાં એમેઝોન પ્રદેશ જેટલી દૂર, એટલે કે આશરે 2,000 કિલોમીટર દૂર અનુભવાઈ હતી. મોડી રાત્રે રાષ્ટ્રને આપેલા ટૂંકા સંબોધનમાં, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોને નુકસાન થયું છે પરંતુ વિગતવાર આંકડા આવ્યા નથી. જો કે જાપાન એક નાનો દેશ હોવા છતા, વારંવાર ભૂકંપનો ભોગ બને છે. જાપાનમાં ખરેખર ભૂકંપથી બચવા માટે એવુ તો શું કરવામાં આવ્યું છે કે, ત્યાં ગમે એટલો મોટા ભૂકંપના આંચકા આવે તો પણ જાન-માલને વ્યાપક નુકસાન થતુ નથી. આ બાબત ભારત સહિત વિશ્વભરના દેશોએ શીખવાની જરૂર છે ?
ભૂકંપને રોકવો તો અશક્ય છે, પરંતુ ભૂકંપને કારણે થતા વિનાશને ચોક્કસપણે કેટલીક તૈયારી દ્વારા ઘટાડી શકાય છે. જાપાન આ જ સિદ્ધાંત પર કામકાજ કરે છે. જાપાને, ભૂકંપ-પ્રતિરોધક ઇમારતો બનાવી છે. જેમાં બેઝ આઇસોલેશન, સિસ્મિક ડેમ્પર્સ અને લવચીક સ્ટીલ સ્ટ્રક્ચર્સ જેવી તકનીકોનો ઉપયોગ ફરજિયાત છે.
જાપનમાં ઘડવામાં આવેલ બિલ્ડિંગ કોડ્સનું પાલન કડકપણે લાગુ કરવામાં આવે છે. જાપાનમાં, બિલ્ડિંગ નિયમોનો અમલ પણ કડક રીતે પાલન કરાવવામાં આવે છે. જો બિલ્ડિંગ નિયમનુ ઉલ્લંઘ કરવામાં આવે છે તો તેના પર કડક દંડ લાદવામાં આવે છે. માત્ર નવી જ બનતી ઈમારતો માટે નહીં પરંતુ, જૂની ઇમારતોની માળખાકીય બાબતો પર પણ નોંધપાત્ર ધ્યાન આપવામાં આવે છે. ભૂકંપનો સામનો કરવા માટે ફક્ત નવી રચનાઓ બનાવવામાં આવતી નથી, પરંતુ વર્તમાન ઇમારતોને તેમના ભૂકંપ પ્રતિકારને વધારવા માટે સિસ્મિક રેટ્રોફિટિંગ કરાવવામાં આવે છે.
જાપાનમાં, ભૂકંપના શરૂઆતના આંચકાઓના સંકેત મળતાં જ, મોબાઇલ ફોન, ટેલિવિઝન, રેડિયો અને જાહેર ચેતવણી પ્રણાલીઓ દ્વારા વહેલી ચેતવણીઓ આપવામાં આવે છે. જે થોડીક સેકન્ડ અગાઉથી પૂર્વસૂચના આપે છે. વધુમાં, નિયમિત પણ મોક ડ્રીલ હાથ ધરવામાં આવે છે. જેમાં સૌ કોઈને સામેલ થવુ આવશ્યક હોય છે. આટલું જ નહીં, શાળાઓ, કચેરીઓ, હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ સમયાંતરે ભૂકંપ સલામતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે.
જાપાનમાં ભૂકંપ અંગે જનજાગૃતિ ઝુંબેશ એક મુખ્ય બાબત તરીકે ગણવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકને ભૂકંપ દરમિયાન, કેવા પ્રકારના યોગ્ય પગલાં લેવા અને શું કરવાનું ટાળવું જોઈએ તે અંગે શિક્ષિત કરવામાં આવે છે. ભૂકંપને લઈને ઇમરજન્સી કીટ હંમેશા તૈયાર રાખવામાં આવે છે. દરેક પરિવાર દીઠ પાણી, સૂકા રાશન, ફ્લેશલાઇટ, દવાઓ, પાવર બેંક, રેડિયો અને આવશ્યક દસ્તાવેજો ધરાવતી બેગ તૈયાર જ રાખે છે.
ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલી ખૂબ જ સતર્ક રહે છે. ભૂકંપની સ્થિતિમાં, રાહત અને બચાવ એજન્સીઓ, ફાયર વિભાગો, તબીબી ટીમો અને સૈન્ય ગણતરીની મિનિટોમાં જ નિર્ધારીત સ્થળે એકઠા થઈ જાય છે. આખરે, ટેકનોલોજી અને શિસ્તનું સંયોજન નુકસાનને ઓછું કરે છે. જાપાનમાંથી ભૂકંપ સામે બચાવ અને જાનમાલને ઓછુ નુકસાન કરવા અંગે મળેલ જાણકારી છે કે માત્ર ટેકનોલોજી જ નહીં, પરંતુ કડક કાયદાઓ, શ્રેષ્ઠ શહેરી આયોજન અને નાગરિક શિસ્તનું મિશ્રણને કારણે જ સૌથી શક્તિશાળી ભૂકંપોને પણ જાનમાલના મોટા નુકસાનમાં ફેરવાતા અટકાવે છે.
Published On - 2:11 pm, Fri, 26 June 26