
આજકાલ ઘરો અને ઓફિસોમાં સોલર પેનલ લગાવવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. સોલર પેનલ બનાવતી કંપનીઓ પણ તેને હંમેશા સાફ રાખવાની સલાહ આપે છે, કારણ કે તેના પર જો કચરો કે માટી જામી જાય તો તે સૂર્યપ્રકાશને પૂરી રીતે શોષી શકતી નથી અને વીજળીનું ઉત્પાદન ઘટી જાય છે. ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આ પેનલ ક્યારે અને કેવી રીતે સાફ કરવી જોઈએ? આ અંગે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી મહત્વની માહિતી નીચે મુજબ છે,
સોલર પેનલ ક્યારે સાફ કરવી તેનો કોઈ એક નક્કી સમય નથી, પરંતુ તમે નીચેની બાબતો પરથી અંદાજ લગાવી શકો છો, જો પેનલ સાફ કર્યાને કેટલાક મહિનાઓ થઈ ગયા હોય અને તેના પર ધૂળની પરત દેખાતી હોય. જ્યારે તમને લાગે કે સોલર સિસ્ટમ પહેલા જેટલી વીજળી નથી બનાવી રહી અથવા તેની એફિશિયન્સી ઓછી થઈ ગઈ છે. (જો કે કાર્યક્ષમતા ઘટવા પાછળ ટેકનિકલ કારણો પણ હોઈ શકે છે, પરંતુ શરૂઆતમાં સફાઈનો પ્રયોગ કરી લેવો સારો રહે છે.)
સોલર પેનલને સાફ કરવા માટે હંમેશા વહેલી સવારનો સમય અથવા આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય તેવો ઠંડો દિવસ પસંદ કરવો જોઈએ. તડકો નીકળ્યા પછી પેનલ સૂર્યની ગરમીને કારણે ખૂબ જ ગરમ થઈ જાય છે. તેવા સમયે તેના પર ઠંડુ પાણી નાખવાથી પેનલનું કાચ તૂટવાનું કે અન્ય નુકસાન થવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત જો પેનલ વધુ ઊંચાઈ પર લાગેલી હોય, તો જાતે સાહસ કરવાના બદલે પ્રોફેશનલ ક્લીનર્સની મદદ લેવી વધુ હિતાવહ છે.
થોડીક કાળજી રાખીને જો સોલર પેનલને નિયમિત સાફ રાખવામાં આવે, તો તે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાંથી મહત્તમ વીજળી ઉત્પન્ન કરતી રહેશે અને તમારા લાઈટ બિલમાં મોટો ફાયદો કરાવશે.