અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

દેશના જવાનોએ અમરનાથ ગુફા ખૂલતાની સાથે જે પહેલી તસવીર શેર કરી હતી તેમા બાબા બર્ફાની સાત ફુટ ઉંચી, ભવ્ય, દિવ્ય, કર્પુર ગૌરવ સ્વરૂપે દૃશ્યમાન હતા. 29 જૂને જ્યારે પહેલી સત્તાવાર પૂજા કરવામાં આવી ત્યારે બાબા બર્ફાનીની ઊંચાઈ 5 ફુટ હતી. પરંતુ 6 જૂલાઈ એ સામે આવેલી તસવીરે આખા દેશને સ્તબ્ધ કરી દીધો. બાબા બર્ફાનીનું હિમલિંગ 90 % જેટલુ પિગળી ગયુ છે. જે ભાવિકોએ અનેક મહિનાઓથી તૈયારી કરી, દુર્ગમ માર્ગોને પાર કરી બાબાના દર્શનની આશાએ કાશ્મીર પહોંચ્યા, તેમની સામે ગુફા ખાલી હતી. આખરે પાંચ દિવસની અંદર જ એવુ તો શું થઈ ગયુ કે બાબા બર્ફાની આ પ્રકારે અંતર ધ્યાન થઈ ગયા?

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?
| Updated on: Jul 14, 2026 | 9:57 PM

અમરનાથની ગુફામાં બાબા બર્ફાનીનું હિમશિવલિંગ અંતર્ધાન થઈ જવુ એ શિવભક્તો માટે જેટલુ આઘાતજનક છે, એટલી જ ભયાનક ચેતવણી પર્યાવરણ માટે પણ છે. એકતરફ અતૂટ આસ્થા છે બીજી તરફ તૂટતો હિમાલય.. ત્યારે સવાલ એ છે કે શું આ માત્ર કુદરતી ફેરફાર છે કે પ્રકૃતિએ મારેલી થપાટ છે જેનો પડઘો કદાચ શ્રદ્ધાના ઘોંઘાટમાં દબાઈ ગયો છે. આજે સવાલ માત્ર હિમાલયના પિગળવાનો નથી પરંતુ હિમાલયના અસ્તિત્વનો છે, જેને વધુ નજર અંદાજ ન કરી શકાય. અમરનાથ એ માત્ર પથ્થરો અને બરફની ગુફા નથી પરંતુ સનાતની ચેતનાનો અમરસ્તંભ છે, જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું પરમ રહસ્ય સમજાવ્યુ હતુ.

હર..હર.. મહાદેવ.., બમ…બમ…ભોલે, નમ: પાર્વતી પતયે હર હર મહાદેવ… બાબા અમરનાથના રસ્તે આ નાદ જ ભાવિકોને ગમે તેવા કઠિન અને દુર્ગમ માર્ગને પાર કરીને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથની ગુફા સુધી પહોંચવા માટેની હિંમત પુરી પાડતા હોય છે. બાબા અમરનાથની યાત્રાએ જનારા લોકો જાણતા જ હશે કે સમગ્ર માર્ગ પર તમને આ જ ધ્વનિ સાંભળવા મળે છે જે એક પ્રકારે પોતાના ઈશ્વરને ભલે થોડી પળો માટે નિહાળવાના આનંદની અનુભૂતિ કરાવે છે અને આ જ કારણ છે કે પોતાના ઈશ્વરને સાક્ષાત નિહાળવા દેશના ખૂણેખૂણેથી લોકો દૂર દૂરથી બાબા અમરનાથના દર્શને આવે છે.

કેમ હિમલિંગ 90 ટકા પીગળી ગયુ?

સનાતનીઓની અતૂટ આસ્થા પર જ્યારે જ્યારે મહાપાપીઓનો પ્રહાર થાય છે ત્યારે પ્રકૃતિનો મહાક્રોધ પણ ભભુકી ઉઠે છે અને આજે પ્રકૃતિનો આવો જ સાક્ષાત મહાક્રોધ બાબાના દરબારમાં પણ જોવા મળ્યો. લાખો શિવભક્તો જેની રાહ જોઈ રહ્યા હોય છે એ અમરનાથ યાત્રાનો હજુ પ્રારંભ જ થયો હતો કે બાબા બર્ફાની અચાનક અંતર્ધાન થઈ ગયા અને દૂર દૂરથી આવેલા ભાવિકોને દર્શન કર્યા વિના જ પરત ફરવુ પડ્યુ. લાખો ભક્તો તેમના દર્શન માટે લાઈનોમાં પ્રતિક્ષા કરી રહ્યા છે પરંતુ ભક્તોને નિરાશ કરનારા સમાચાર એ છે બાબા બર્ફાનીનું પવિત્ર શિવલિંગ જેને હિમલિંગ પણ કહે છે તે 90% જેટલુ પીગળી ગયુ છે.

યાત્રા શરુ થયાના 5 જ દિવસમાં હિમશિવલિંગ 12 ફુટ થી 1 ફુટનુ રહી ગયુ

3 જૂલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ, 57 દિવસ સુધી આ યાત્રા ચાલવાની છે પરંતુ પાંચમા દિવસે જ અમરનાથ ગુફામાં સ્થિત શિવલિંગનો આકાર અચાનક અત્યંત નાનો થઈ ગયો છે. આ યાત્રાની શરૂઆતના માત્ર 9 દિવસ પહેલા 29 જૂને જ્યારે અમરનાથ ગુફામાં પ્રથમ પૂજા થઈ હતી ત્યારે પવિત્ર બરફમાંથી બનેલા શિવલિંગની ઉંચાઈ 12 ફુટ હતી. જ્યારે પહેલો જથ્થો 3 જૂલાઈએ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચ્યો હતો ત્યારે તેમનુ કહેવુ હતુ કે પવિત્ર શિવલિંગને આકાર એ જ દિવસથી પીગળવાનું શરુ થઈ ગયુ હતુ અને શિવલિંગ સંકોચાવા લાગ્યુ હતુ. 6 જૂલાઈએ સ્થિતિ વધુ વણસી ગઈ અને આ શિવલિંગ 90 ટકા જેટલુ પિગળી ગયુ અને 1 ફુટ નુ થઈ ગયુ હતુ. લાખો શ્રદ્ધાળુઓ હજુ દર્શનની પ્રતિક્ષામાં જે દેશના ખૂણે-ખૂણેથી બાબાના દર્શન માટે કાશ્મીર ઘાટી પહોંચ્યા છે. પરંતુ ત્યાં તેમને નિરાશ કરનારા સમાચાર મળી રહ્યા છે.

આજથી 2 દાયકા પહેલા 22 ફુટનું હતુ હિમશિવલિંગ

જે હિમલિંગ ક્યારેક 22 ફુટ ઉંચુ રહેતુ એ હવે સંપૂર્ણપણે પિગળી જવાની સ્થિતિમાં આવી ગયુ છે. જો કે હવે ભક્તો માત્ર ગુફાના દર્શન કરીને જ ધન્યતા અનુભવી રહ્યા છે. ખતરનાક અને સાંકડા પહાડી રસ્તો પસાર કરીને શ્રદ્ધાળુઓ આ યાત્રા પુરી કરે છે. ગમે ત્યારે હવામાનનો બદલાતો મિજાજ, સમગ્ર યાત્રા રૂટ પર કુદરતી આફતોનો ભય સતત રહે છે. ઓછો ઓક્સિજન, વધુ પ્રમાણમાં ઠંડી, અને સતત સીધા ચડાણ વચ્ચે ભાવિકો શારીરિક અને માનસિક બંને પરીક્ષાઓ પાર કરી બાબાના દરબાર સુધી પહોંચે છે અને અહીં પહોંચ્યા બાદ પણ બાબાના પૂર્ણ સ્વરૂપના દર્શન નથી થઈ રહ્યા. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે આખરે આવી પરિસ્થિતિ કેમ ઉભી થઈ?

ઘાટીમાં રેકોર્ડ બ્રેક 36 ડિગ્રી નોંધાયુ તાપમાન

છેલ્લા કેટલાક વર્ષોથી કાશ્મીર ઘાટીમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે.ઘાટીનું સૌથી વધુ તાપમાન 36 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ જે ઘાટીના સામાન્ય તાપમાન કરતા લગભગ 8 ડિગ્રી વધુ છે. આ ગરમી અમરનાથ ગુફાના માઈક્રો ક્લાઈમેટને સીધી પ્રભાવિત કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી શિયાળા દરમિયાન થતી હિમવર્ષામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગ્લેશિયર પિગળી રહ્યા છે. આ જ કારણ છે કે પવિત્ર બાબા બર્ફાનીના હિમશિવલિંગનો આકાર પણ સંકોચાઈ રહ્યો છે, નાનો થઈ રહ્યો છે.

અત્યારે દર્શન કરીને આવનારા શ્રદ્ધાળુઓ ખુદ જણાવે છે કે 90 ના દાયકાથી 2003 સુધી શિવલિંગ9 થી 16 ફુટ મોટુ રહેતુ હતુ અને ગુફાની અંદર પણ ગમે તેવુ ચામડાનું જાડુ જેકેટ પહેર્યુ હોય તો પણ હાડ થિજવતી ઠંડી લાગતી હતી પરંતુ આ વખતે એમાંનુ કંઈ જ નથી. શ્રદ્ધાળુઓ જણાવે છે કે ગુફાની અંદર માત્ર ટીશર્ટ પહેરેલી હોય તો પણ ગરમી લાગી રહી હતી.

20 વર્ષ પહેલા ગુફાની અંદર હાડ થિજવતી ઠંડી રહેતી

ભાવિકો જ્યારે શ્રીનગરથી નીકળ્યા તો કોઈ ગરમ કપડાની તેમને જરૂર ન હતી. ટ્રેક શુટ અને સાધારણ શર્ટ પેન્ટ પહેરીને જ દર્શન સ્થળ સુધી પહોંચી ગયા. ચારેતરફ ફેલાયેલા સદીઓ જુના ગ્લેશિયર પીગળી રહ્યા છે તેનુ પાણી તેજ ગતિએ વહી રહ્યુ છે. પહાડો પર બરફના બદલે ધૂળ ઉડી રહી છે. એક સમયે જે પવિત્ર શિવલિંગના દર્શન 35 થી 40 દિવસે થતા તે હવે 15 થી 20 દિવસમાં થઈ જાય છે. એવુ લાગી રહ્યુ છે જાણે માનવીય દખલથી નારાજ થઈને મહાદેવે તેના ત્રીજા નેત્રની જ્યોતિથી આવનારા મહાસંકટનો સંકેત આપી દીધો છે.

દરેક શ્રદ્ધાળુ દીઠ ગુફામાં 100 વોટ ઊર્જાનું ઉત્સર્જન

છેલ્લા કેટલાક વર્ષોથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગત વર્ષે 4 લાખથી વધુ ભાવિકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ દરેક શ્રદ્ધાળુ દીઠ ગુફામાં લગભગ 100 વોટ ઊર્જા ઉત્સર્જિત કરે છે, તેની અસર એ થઈ કે ગુફાની અંદર 25 થી 30 કિલો વોટ સુધી વધારાની ઉષ્મા ઉત્પન્ન થાય છે. આજથી બે દાયકા (20 વર્ષ) પહેલા અમરનાથ યાત્રાનો માર્ગ સંપૂર્ણપણે કુદરતી હતો. ત્યાં માટી અને પહાડોની વચ્ચેનો માર્ગ હતો અને લોકો માટે આટલી ઉંચાઈએ અમરનાથ ગુફા સુધી પહોંચવુ આસાન ન હતુ. જો કે હવે આ જ માર્ગ પર સોલર સ્ટ્રીટ લાઈટ્સ, વિશ્રામ સ્થળો, વીજળી અને જેસીબી જેવા મશીનોનો ઉપયોગ અને પહાડોને કાપીને રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. જેના કારણે આ સ્થળની કુદરતી સમતુલામાં પણ અનેક ફેરફાર થયા છે.

શું આગામી 5 વર્ષમાં ભારત ચીનની મોનોપોલી તોડી ફાર્મા સેક્ટરમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે?

Published On - 9:55 pm, Tue, 14 July 26

Follow Us