Breaking News : જગત જમાદાર ટ્રમ્પનો ઈરાનને લઈ મોટો દાવો, કહ્યું, ઈરાન સમજૂતી કરવા માટે આતુર.. માઉન્ટ રશમોરથી આપ્યું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે માઉન્ટ રશમોર પર દાવો કર્યો કે ઈરાન સમાધાન માટે તલપાપડ છે અને અમેરિકી દબાણ સામે ઝૂક્યું છે. આ નિવેદન આયાતુલ્લાહ અલી ખામેનેઈના કથિત નિધન બાદ આવ્યું છે, જેનાથી ઈરાનમાં નેતૃત્વની અનિશ્ચિતતા વધી છે.

Breaking News : જગત જમાદાર ટ્રમ્પનો ઈરાનને લઈ મોટો દાવો, કહ્યું, ઈરાન સમજૂતી કરવા માટે આતુર.. માઉન્ટ રશમોરથી આપ્યું નિવેદન
| Updated on: Jul 04, 2026 | 5:07 PM

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ માઉન્ટ રશમોર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈરાનને લઈને કડક નિવેદન આપ્યું. પોતાના સંબોધન દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન હવે સમાધાન કરવા માટે આતુર છે અને અમેરિકાના દબાણ સામે ઝૂકવા મજબૂર બન્યું છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા ચાલી રહી છે.

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, “તેઓ સમાધાન કરવા માટે તડપી રહ્યા છે. તેઓ કોઈપણ રીતે સમાધાન કરવા માંગે છે. અમે તો માત્ર માનવતાના કારણે તેમને અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાનો સમય આપ્યો.” ટ્રમ્પના આ નિવેદન પર કાર્યક્રમમાં હાજર લોકોએ જોરદાર તાળીઓ પાડી હતી. જોકે, તેમણે આ નિવેદન અંગે વધુ વિગતો જાહેર કરી નહોતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે અમેરિકાના સૈન્ય દબાણે ઈરાનના નેતૃત્વનું મનોબળ તોડી નાખ્યું છે. તેમના મતે, આ જ કારણ છે કે ઈરાન હવે કોઈ સમજૂતી તરફ આગળ વધવા ઇચ્છે છે. ટ્રમ્પે જે “અંતિમ સંસ્કાર”નો ઉલ્લેખ કર્યો હતો તે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન સાથે જોડાયેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અહેવાલો અનુસાર, તાજેતરના સંઘર્ષ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોત થયા હોવાનું કહેવાય છે. ત્યારબાદ ઈરાનમાં એક અઠવાડિયાનો જાહેર શોક જાહેર કરવામાં આવ્યો છે અને લાખો લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ દાવાઓ અંગે સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

ખામેનેઈના અવસાન બાદ ઈરાનમાં નેતૃત્વને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે. ઘણા વર્ષોથી તેઓ દેશના સર્વોચ્ચ નિર્ણયકાર તરીકે કાર્યરત હતા અને તેમના ઉત્તરાધિકારી અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયે હુમલાને “બિનઉશ્કેરણીજનક, ગેરકાયદેસર અને સંપૂર્ણપણે અયોગ્ય” ગણાવી તેની નિંદા કરી છે.

ખામેનેઈના મોતના સમાચાર બાદ ઉજવણી!

ઈરાનમાં પણ આ ઘટનાને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં લોકો ખામેનેઈના મોતના સમાચાર બાદ ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જ્યારે સરકાર સમર્થકોએ તેહરાનમાં ભેગા થઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને શોકસભાઓ યોજી હતી.

માઉન્ટ રશમોર ખાતે લગભગ અડધા કલાકના પોતાના ભાષણમાં ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસ, સ્વતંત્રતા, દેશભક્તિ અને અમેરિકન ક્રાંતિની ભાવનાની પ્રશંસા કરી હતી. ભાષણના અંતે તેમણે કહ્યું, “અઢી સદી પછી પણ આ અંત નથી, પરંતુ અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆત છે.”

ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનોને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા તેજ બની છે. જોકે, તેમની જાહેર કરેલી આત્મવિશ્વાસભરી વાતો વાસ્તવિક સમજૂતીમાં પરિણમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. એક તરફ અમેરિકા પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ઈરાનમાં શોકનો માહોલ છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધો કઈ દિશામાં આગળ વધશે તેના પર વિશ્વની નજર રહેશે.

પાકિસ્તાની મુસ્લિમ વ્યક્તિએ કર્યો ‘The Kerala Story’ જેવો ખેલ, જુઓ Video

Published On - 5:07 pm, Sat, 4 July 26

Follow Us