
India’s unimaginable revenge : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી સંગઠન ધ રેસિડેન્ટ ફ્રન્ટ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને રાજદ્વારી રીતે ફટકા મારવાનુ શરૂ કર્યું છે. એક તરફ ભારતે રાજદ્વારી નિર્ણય તરીકે પાકિસ્તાનને સિંધુ જળ સંધિ દ્વારા મળતો પાણી પુરવઠો બંધ કરી દીધો છે. આ સાથે જ બિહારની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓને કલ્પના બહારની સજા આપી બદલો લેવાની વાત કરી છે.
વડાપ્રધાન મોદીએ આતંકીઓનો સફાયો કરવાની પણ વાત કરી છે. ત્યારે સવાલ એવા ઉઠી રહ્યો છે કે, પાકિસ્તાન અને ત્યાં પોષણ પામીને મોટા થઈ રહેલા આતંકવાદીઓને કેવા પ્રકારની સજા આપવામાં આવશે, જે સૌ કોઈની કલ્પના બહારની વાત હોય ?
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સેનાઓ હાઈ એલર્ટ પર છે. બુધવારે ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથેની બેઠકમાં ભારતીય સેનાના ત્રણેય વડાઓએ કહ્યું છે કે તેઓ તૈયાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મળ્યા હતા. સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં સૈન્યને રાષ્ટ્રપતિના નામે આદેશ આપવામાં આવતા હોય છે. તો બીજી તરફ પાકિસ્તાને પણ બેઠક યોજીને પોતાના અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાન એરફોર્સના અધિકારીઓ, તેમના સંપર્ક સૂત્રો પાસેથી છેલ્લા ચાર દિવસથી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારત કેવા પ્રકારનો હુમલો કરવા જઈ રહ્યું છે ?
યુદ્ધ થશે કે નહીં તે હજુ સસ્પેન્સ છે, પરંતુ એક હકીકત એવી સામે આવી રહી છે કે જો યુદ્ધ થશે તો ભારત આ વખતે પાકિસ્તાનને 4 ભાગમાં વહેંચી નાખશે. વાસ્તવમાં ઘણા સમયથી પાકિસ્તાનમાં 3 અલગ-અલગ દેશોની માંગ છે. જેમાં ગિલગિટ બાલ્ટિસ્તાન, બીજા બલૂચિસ્તાન અને ત્રીજા ખૈબર-પખ્તુનખ્વાના નામ સામેલ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ભારતનો દાવો છે.
બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તૂનખ્વામાં ઘણા સમયથી અલગ પ્રાંત બનાવવાની હિલચાલ ચાલી રહી છે. ત્યાં પાકિસ્તાન સરકાર સામે હિંસક દેખાવો પણ થઈ રહ્યાં છે. તાજેતરમાં ટ્રેનનુ અપહરણ પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું. ખૈબર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટી સત્તામાં છે. ખૈબરના લોકો સીધા અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે. અહીં અફઘાનિસ્તાન સમર્થિત લડવૈયાઓ પાકિસ્તાનને મુશ્કેલ સમય આપી રહ્યા છે.
ખૈબરમાં બળવો ના થાય તો પણ ઓછામાં ઓછું પાકિસ્તાન ચાર ભાગમાં વહેંચાઈ જશે. એક ભાગ મૂળ પાકિસ્તાનનો છે, બીજો બલૂચિસ્તાનનો છે, ત્રીજો ગિલગિટનો છે અને ચોથો POKનો છે, જેના પર ભારતનો દાવો છે. જો યુદ્ધ થશે તો ભારત પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાછુ લઈ લેશે અને બાકીના જે આઝાદ થવા માગે છે તેમને બંદુકની નાળ હેઠળ ભારત આઝાદી અપાવશે.
પાકિસ્તાનને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પર ક્લિક કરો.
Published On - 7:51 pm, Thu, 24 April 25