
આપણે બાળપણથી દુનિયાને જે નકશા પર જોતા આવ્યા છીએ, તેમાં હવે મોટા ફેરફારની શરૂઆત થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ 4 સપ્ટેમ્બરના રોજ ‘Correct the Map’ નામના એક ઐતિહાસિક પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિશ્વ નકશાઓને પ્રોત્સાહન આપવાનો છે જેમાં તમામ દેશો અને ખંડોનું ક્ષેત્રફળ તેમના વાસ્તવિક પ્રમાણ (સાચો આકાર અને કદ) ની નજીક દેખાય. આ પ્રસ્તાવના પક્ષમાં ભારત સહિત 164 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે અમેરિકાએ તેનો એકલા વિરોધ કર્યો અને 6 દેશો વોટિંગથી દૂર રહ્યા હતા.
જોકે, અહીં એક મહત્વની બાબત સમજવી જરૂરી છે કે સંયુક્ત રાષ્ટ્રએ કોઈ દેશની સરહદ, જમીન કે આંતરરાષ્ટ્રીય સીમામાં કોઈ ફેરફાર કર્યો નથી. આ નિર્ણય માત્ર ગોળાકાર પૃથ્વીને સપાટ કાગળ કે ડિજિટલ સ્ક્રીન પર વધુ વાસ્તવિક રીતે કેવી રીતે દર્શાવવી તે અંગેનો છે. આ પ્રસ્તાવ કાયદેસર રીતે કોઈ પર બંધનકર્તા નથી, તેથી રાતોરાત તમામ પુસ્તકો કે એપ્સમાં જૂનો નકશો બદલાઈ નહીં જાય.
ભારતનું વલણ એ રહ્યું છે કે આ પ્રસ્તાવને ‘ઇક્વલ એરિયા મેપ પ્રોજેક્શન’ (Equal Area Map Projection) ના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન તરીકે જોવો જોઈએ, કોઈ એક ચોક્કસ પ્રોજેક્શનના સમર્થન તરીકે નહીં. ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ કર્યું કે નકશાઓનો ઉપયોગ વિવિધ જરૂરિયાતો (જેમ કે દિશા, અંતર કે કદ) માટે થાય છે, તેથી ભારત ટેકનિકલ તટસ્થતાને ટેકો આપે છે.
આ સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિતનો ભારતનો સાર્વભૌમ વિસ્તાર ભારતના સત્તાવાર નકશા મુજબ જ દર્શાવવો જોઈએ. કોઈપણ ભ્રામક કે ખોટા ચિત્રણને ભારત ક્યારેય સ્વીકારશે નહીં.
અમેરિકા આ પ્રસ્તાવનો વિરોધ કરનારો એકમાત્ર દેશ હતો. અમેરિકી પ્રતિનિધિ યારિના ફેરેન્સેવિચે ચર્ચા દરમિયાન દલીલ કરી કે સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાની વાસ્તવિક કટોકટીઓ અને સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે 16મી સદીથી ચાલતા નકશા બદલવાની ચર્ચાઓમાં સમય વેડફવો જોઈએ. અમેરિકાએ આ પગલાંને એક વૈચારિક એજન્ડા તરીકે ગણાવ્યું.
બીજી તરફ, આફ્રિકન યુનિયને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું કહેવું છે કે સદીઓ જૂનો મર્કેટર પ્રોજેક્શન (Mercator Projection) આફ્રિકા ખંડને તેના વાસ્તવિક કદ કરતાં ઘણો નાનો દર્શાવે છે, જે હવે સુધરશે.
ભારતની જમીન, વાસ્તવિક ક્ષેત્રફળ કે આંતરરાષ્ટ્રીય સરહદોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં. ભારતનું સાર્વભૌમત્વ અને પાડોશી દેશો સાથેની સરહદો યથાવત રહેશે.