થોડા દિવસ પહેલા પંજાબમાં ભારત સરકારે 27 મિલિયન લોકો માટે ઈન્ટરનેટ બંધ કરી દીધુ અને પંજાબમાં મુકત રીતે ફરવાના અધિકારને નકારી કાઢ્યો કારણ કે 30 વર્ષીય શીખ રાજકીય કાર્યકર અમૃતપાલ સિંહને પકડવો એ લોકોના માનવાધિકાર કરતાં વધુ મહત્વપૂર્ણ છે તેવો નિર્ણય ભારત સરકારે લીધો.
ભાગેડુ અને પંજાબના યુવાનોને ગેરમાર્ગે દોરનાર અમૃતપાલ સિંહ હાલના દિવસોમાં નાસભાગ કરી રહ્યો છે. બાતમી મુજબ તે સતત પોતાનો દેખાવ બદલી રહ્યો છે અને પોતાનું સ્થાન પણ બદલી રહ્યો છે. તેની પોલ ખુલ્લી પડતાં જ સુરક્ષા એજન્સીઓ તેની પાછળ લાગેલી છે. ભારત એ લોકશાહી દેશ છે અને આવા દેશ વિરોધી તત્વો સામે કાયદાથી જ કામ લેવામાં આવે છે. દરેક દેશ પોતાના કાયદા મુજબ કામ કરે છે અને તે પ્રમાણે જ એક્શન લેવામાં આવે છે.
ત્યારે TIME મેગઝીને અમૃતપાલ મુદ્દે ભારત માટે પ્રોપગન્ડા મુજબ સ્ટોરી લખાવી હોય તેવી આશંકા છે. ત્યારે સવાલ એ પણ છે કે આ આર્ટીકલ એક પ્રોપગન્ડા હેઠળ લખાવવામાં આવ્યો છે? આર્ટીકલ છપાવવા માટે કોઈ આર્થિક વ્યવહાર કરવામાં આવ્યો છે? શું ટાઈમ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે કે ખાલીસ્તાની મુદ્દો શું છે?
આ પણ વાંચો: શું છે સરબત ખાલસા, જેની આડમાં અમૃતપાલ સિંહ બચવાનો કરે છે પ્રયાસ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લોકો ટ્વીટ કરીને પણ TIME મેગઝીનની આલોચના કરી રહ્યા છે. કોઈ યુઝર્સે ટ્વીટ કરીને કહ્યું કે દેશની (ભારત) સાર્વભૌમત્વ અને અખંડિતતા આતંકવાદીઓના કોઈપણ અધિકારો કરતા વધારે મહત્વની છે. અમૃતપાલ એક ભાગેડુ, ખંડણીખોર અને આંતકવાદી છે. એટલે તેના કોઈપણ અધિકારો કરતા દેશની અખંડિતતા વધારે મહત્વપૂર્ણ છે.
તમને જણાવીએ કે 1980ના દાયકામાં જરનૈલ સિંહ ભિંડરાનવાલે પંજાબને ભડકે બાળ્યુ હતું. ત્યારે અમૃતપાલસિંહ પણ ભિંડરાનવાલેના કટ્ટરપંથી વિચારોનો વારસ છે, તે ટાઈમ જાણતુ ન હોય તેવુ લાગે છે. આજે સરકાર પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. એવું કહેવાય છે કે વર્ષ 80માં જ્યારે જરનૈલ સિંહ ભિંડરાનવાલે પંજાબમાં પોતાના કટ્ટરપંથી વિચારો ફેલાવી રહ્યા હતા, ત્યારે ન તો પંજાબ સરકાર અને ન તો કેન્દ્ર સરકારે શરૂઆતમાં કોઈ નક્કર પગલાં લીધાં.
જેના કારણે ભિંડરાનવાલેનો આતંક પંજાબની કાયદો અને વ્યવસ્થા માટે પડકાર બની ગયો હતો. આજે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એલર્ટ છે. પંજાબની આમ આદમી પાર્ટી સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વચ્ચેનું સંકલન ઝીણવટભર્યુ છે.
ટાઈમ મેગઝીનમાં આ આર્ટીકલ સિમરન જીત સિંઘે લખ્યો છે. તેઓ એસ્પેન ઈન્સ્ટિટ્યૂટના રિલિજિયન એન્ડ સોસાયટી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને ધ લાઈટ વી ગીવ: હાઉ શીખ વિઝડમ કેન ટ્રાન્સફોર્મ યોર લાઈફના લેખક છે. તેઓ કોલંબિયા યુનિવર્સિટી અને નેલ્સન મંડેલા ફાઉન્ડેશન સાથે રેશિયલ ઈક્વિટી માટે એટલાન્ટિક ફેલો છે અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ સાથે સોરોસ ઈક્વિટી ફેલો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
Published On - 7:53 pm, Fri, 31 March 23