તાજેતરમાં જ એક ટીવી ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન, પૈગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ સતત વિરોધ થઈ રહ્યો છે. આજે શુક્રવારની નમાજ બાદ બાંગ્લાદેશની (Bangladesh) રાજધાની ઢાકામાં હજારો લોકો એકઠા થયા હતા અને ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન તમામ દેખાવકારોએ 16 જૂને ભારતીય દૂતાવાસનો ઘેરાવો કરવાનું પણ એલાન આપ્યું હતું.
ઢાકા શહેરમાં મુખ્ય બૈતુલ મુકરમ મસ્જિદ પાસે શુક્રવારની નમાજ બાદ સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ ભારતીય ઉત્પાદનો અને ભારતનો બહિષ્કાર કરવાની પણ હાકલ કરી હતી. જમીયત ઉલેમા બાંગ્લાદેશ, ખિલાફત મજલિસ, ઇસ્લામ ઓક્યાજોત અને અન્ય જૂથોએ પણ આ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) એ વિરોધને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય મસ્જિદ બૈતુલ મુકરમ અને પલ્ટન વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
ઢાકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોતીઝિલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અબ્દુલ અહદે જણાવ્યું હતું કે, “ઈસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશે આજના કાર્યક્રમ માટે કોઈ પરવાનગી લીધી ન હતી. જો કે, આવા વિરોધ સરઘસના નામે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ હાઈ એલર્ટ પર છે.” તેમણે કહ્યું, પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમે સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે. જો કોઈ હેરાન કરવાનો કે અપ્રિય કારણ આપવાનો પ્રયાસ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
પૈગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને લઈને ભારતમાં વિરોધ થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ હિંસા ફાટી નીકળી હતી. આજે ફરી એક વખત શુક્રવારની નમાજ પછી, યુપીના ઘણા જિલ્લાઓમાં મુસ્લિમ સમુદાય દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પ્રયાગરાજમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. યુપી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શુક્રવારની નમાજ બાદ નુપુર શર્મા વિરુદ્ધ સરઘસ કાઢવામાં આવ્યા હતા.