Sri Lanka Crisis: સિંગાપોરમાં છે ગોટાબાયા રાજપક્ષે, આજે 10 વાગે નવા PMની જાહેરાત, સરકારી ઈમારતો છોડવા રાજી થયા પ્રદર્શનકારીઓ
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ (Gotabaya Rajapaksa) ગુરુવારે સંસદના સ્પીકર યાપા અભયવર્દનેના કાર્યાલયને ઈ-મેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. અભયવર્ધન શુક્રવારે તેમના રાજીનામાની ઔપચારિક જાહેરાત કરશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) હવે માલદીવથી સિંગાપોર ગયા છે. દેશમાં વધી રહેલા આર્થિક સંકટને લઈને લોકોના વિરોધ વચ્ચે રાજપક્ષે બુધવારે માલદીવ ગયા હતા. માલદીવ ગયા બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. ગોટાબાયા રાજપક્ષેના માલદીવમાં આગમન પછી સમાચાર આવવા લાગ્યા કે માલદીવ સરકારે તેમને દેશ છોડવા માટે કહ્યું છે. આના એક દિવસ બાદ રાજપક્ષે મિલિટરી પ્લેન દ્વારા માલદીવથી સિંગાપુર જવા માટે ઉડાન ભરી હતી. ગોટાબાયાએ સિંગાપોર પહોંચતાની સાથે જ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું પણ સુપરત કર્યું હતું.
રાષ્ટ્રપતિ રાજપક્ષેએ ગુરુવારે સંસદના સ્પીકર યાપા અભયવર્ધનેના કાર્યાલયને ઈ-મેલ દ્વારા પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. અભયવર્ધન શુક્રવારે તેમના રાજીનામાની ઔપચારિક જાહેરાત કરતા પહેલા તમામ દસ્તાવેજોની માન્યતાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. સ્પીકરના મીડિયા સેક્રેટરી ઈન્દુનીલ અભયવર્દનેએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સિંગાપોરમાં શ્રીલંકા હાઈ કમિશનને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ઇન્દુનીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પીકર ઇચ્છે છે કે વેરિફિકેશન પ્રક્રિયા અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ શુક્રવારે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવે.
સરકારી ઈમારતો છોડવા સંમત થયા પ્રદર્શનકારીઓ
આ પહેલા માલદીવની મજલિસ સંસદના સ્પીકર મોહમ્મદ નશીદે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાને તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હવે મુશ્કેલીગ્રસ્ત દેશ શ્રીલંકા આગળ વધી શકશે. તે જ સમયે, રાષ્ટ્રપતિના રાજીનામા બાદ, હવે વિરોધીઓએ તમામ સરકારી ઇમારતો ખાલી કરવાનું શરૂ કર્યું છે. હજારો વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ કાર્યાલય અને વડા પ્રધાન કાર્યાલય પર કબજો જમાવ્યો અને રાષ્ટ્રપતિ ગોટાબાયાના રાજીનામાની માંગ કરી. હવે તે તેમને છોડવા માટે રાજી થઈ ગયા છે.
રાષ્ટ્રપતિ સચિવાલય અને જૂની સંસદ કબજામાં યથાવત
ગુરુવારે સાંજે લગભગ 6 વાગે દેખાવકારોએ વડાપ્રધાન કાર્યાલય છોડી દીધું હતું. જે બાદ શ્રીલંકાની એરફોર્સ અને આર્મીના સુરક્ષા દળોએ ઈમારતનો હવાલો પાછો ખેંચી લીધો હતો. અગાઉ, વિરોધકર્તાઓએ કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ અને પીએમના સત્તાવાર નિવાસસ્થાન, ટેંપલ ટ્રી અને પીએમ કાર્યાલયમાંથી બહાર નીકળી જશે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ સચિવાલય, જૂની સંસદ અને ફેસ ગ્રીનની સામે તેમનો કબજો જાળવી રાખશે.