
પાકિસ્તાન ફરી એકવાર પોતાના એક વિચિત્ર પગલાને કારણે ચર્ચામાં આવ્યું છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલી એક તસવીરને લઈને વિવાદ સર્જાયો છે.
સમિટ દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને વડાપ્રધાનો સાથે ગ્રુપ ફોટો સેશન યોજાયું હતું. આ ફોટોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત અન્ય દેશોના નેતાઓ પણ સામેલ હતા. જોકે, પાકિસ્તાની PMO દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાંથી PM મોદીની તસવીર એડિટ કરીને હટાવી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ઘટનાને લઈને પાકિસ્તાનની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ રહી છે. બીજી તરફ, ભારતના PMO દ્વારા સમિટ સંબંધિત ગ્રુપ તસવીરોમાં તમામ નેતાઓને દર્શાવવામાં આવ્યા હતા.
બિશ્કેકમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી. જોકે, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો વચ્ચે કોઈ ઔપચારિક મુલાકાત થઈ નહોતી.
ફોટો સેશન દરમિયાન પણ PM મોદી અને શાહબાઝ શરીફ એકબીજાથી અંતર જાળવીને ઉભા જોવા મળ્યા હતા. બંને નેતાઓ અલગ-અલગ બાજુએ ઉભા હતા અને તેમની વચ્ચે કોઈ ખાસ વાતચીત જોવા મળી નહોતી. PM મોદીએ શાહબાઝ શરીફ સાથે કોઈ ઔપચારિક મુલાકાત પણ કરી નહોતી.
SCO સમિટમાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ આતંકવાદના મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે SCO દેશોએ આતંકવાદના સમગ્ર નેટવર્કને નષ્ટ કરવા અને તેને મળતા નાણાકીય સમર્થનને રોકવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
PM @narendramodi along with SCO leaders in Bishkek. pic.twitter.com/0VAUpFWpsz
— PMO India (@PMOIndia) September 1, 2026
PM મોદીએ એમ પણ કહ્યું હતું કે આતંકવાદ સામે લડવાના મુદ્દે કોઈપણ પ્રકારના બેવડા ધોરણો માટે જગ્યા હોવી જોઈએ નહીં. તેમણે તમામ દેશોને આતંકવાદ સામે એકજૂટ થઈને કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
યુદ્ધ અને વૈશ્વિક સંઘર્ષો અંગે વાત કરતાં PM મોદીએ કહ્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં મળી શકતો નથી. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો અને સંઘર્ષોનો ઉકેલ વાતચીત અને રાજદ્વારીના માધ્યમથી શોધવો જોઈએ.
તેમણે કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આવા પ્રોજેક્ટ્સમાં તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું જોઈએ. PM મોદીની આ ટિપ્પણીને ચીનના મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.
વડોદરામાં અહીં રહીશોનો માટલા ફોડ વિરોધ, 15 વર્ષથી છે આ મોટી સમસ્યા, જુઓ Video