કોણ હતી પુતિનની ગર્લફ્રેન્ડ, જેના નામનો ખુલાસો કરનાર પત્રકારનું મોત, જાણો

રશિયન પત્રકાર ગ્રિગોરી નેખોરોશેવનું 69 વર્ષની વયે ઝેરી મશરૂમ ખાધા બાદ નિધન થયું છે. તેઓ 2008માં વ્લાદિમીર પુતિન અને એલિના કાબેવા વચ્ચેના કથિત સંબંધોનો ખુલાસો કરવા માટે જાણીતા હતા.

કોણ હતી પુતિનની ગર્લફ્રેન્ડ, જેના નામનો ખુલાસો કરનાર પત્રકારનું મોત, જાણો
| Updated on: Jun 22, 2026 | 7:47 PM

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અંગત જીવન વિશે વર્ષો પહેલા ચર્ચાસ્પદ ખુલાસો કરનાર રશિયન પત્રકાર ગ્રિગોરી નેખોરોશેવનું 69 વર્ષની વયે અવસાન થયું છે. મીડિયા અહેવાલો અનુસાર, ઝેરી મશરૂમ ખાધા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ગ્રિગોરી નેખોરોશેવ રશિયન અખબાર મોસ્કોવ્સ્કી કોરસપોન્ડન્ટના મુખ્ય સંપાદક રહ્યા હતા. વર્ષ 2008માં તેમના અખબારે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભૂતપૂર્વ ઓલિમ્પિક જિમ્નાસ્ટ એલિના કાબેવા વચ્ચે નજીકના સંબંધો હતા. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પુતિન તેમની પત્ની લ્યુડમિલાથી છૂટાછેડા લઈને કાબેવા સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા.

આ સમાચાર પ્રકાશિત થયા બાદ સમગ્ર રશિયામાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. તે સમયે પુતિને આ અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાની કલ્પનાઓના આધારે અન્ય લોકોના અંગત જીવનમાં દખલ કરે છે. ત્યારબાદ આ મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો હતો.

પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો

અહેવાલો અનુસાર, આ ઘટનાના થોડા સમય બાદ મોસ્કોવ્સ્કી કોરસપોન્ડન્ટ અખબારને બંધ કરવાની ફરજ પડી હતી. અખબારના માલિક એલેક્ઝાન્ડર લેબેદેવ, જે પૂર્વ KGB અધિકારી અને જાણીતા ઉદ્યોગપતિ હતા, તેમણે પ્રકાશન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાએ રશિયામાં પત્રકારત્વની સ્વતંત્રતા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા.

નેખોરોશેવ બાદમાં રશિયા છોડીને વિદેશમાં રહેવા ગયા હતા. છેલ્લા લગભગ 11 વર્ષથી તેઓ લાતવિયાની રાજધાની રીગામાં રાજકીય શરણાર્થી તરીકે રહેતા હતા. તેમના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા તેમને પોતાના ઘરના આંગણામાં મશરૂમ મળ્યા હતા. તેમણે તે મશરૂમ ખાધા બાદ તેમની તબિયત બગડવા લાગી હતી. બાદમાં કરાયેલા પરીક્ષણમાં મશરૂમ ઝેરી હોવાનું સામે આવ્યું હતું.

મૃત્યુનું કારણ ઝેરી મશરૂમ

તેમના અચાનક અવસાનને લઈને વિવિધ અટકળો પણ ચાલી રહી છે, જોકે સત્તાવાર રીતે મૃત્યુનું કારણ ઝેરી મશરૂમના સેવનને માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રિગોરી નેખોરોશેવનું નામ આંતરરાષ્ટ્રીય ચર્ચામાં લાવી દીધું છે.

ઉલ્લેખનીય છે કે વિવિધ મીડિયા અહેવાલો અને તપાસ સંસ્થાઓના દાવા મુજબ, વ્લાદિમીર પુતિન અને એલિના કાબેવાના સંબંધોને લઈને વર્ષોથી ચર્ચા થતી રહી છે. જોકે, રશિયન સરકાર અથવા પુતિને આ પ્રકારના ઘણા દાવાઓને સત્તાવાર રીતે સ્વીકાર્યા નથી.

સુરતના તક્ષશીલા જેવી ઘટના UP માં, કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ, 15 લોકોના મોત

Follow Us