બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના (Queen Elizabeth II) સોમવારે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર (Funeral) વેસ્ટમિન્સ્ટર એબી ખાતે થશે, જેમાં વિવિધ દેશના રાષ્ટ્રઅધ્યક્ષો સહિત લગભગ 2,000 મહાનુભાવ હાજરી આપે તેવી અપેક્ષા છે. હાલમાં સ્વર્ગસ્થ રાણીનું પાર્થિવ શરીર વેસ્ટમિંસ્ટર હોલમાં રાખવામાં આવ્યું છે. વેસ્ટમિન્સ્ટર હોલને રાણીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પહેલા સવારે 6.30 વાગ્યે બંધ કરવામાં આવશે. રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સહિત અનેક દેશોના વડાઓ લંડન પહોંચી ગયા છે. રાણીના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે થશે. રાણીના અંતિમ સંસ્કાર દરમિયાન સમગ્ર યુકેમાં (UK) બે મિનિટનું રાષ્ટ્રીય મૌન પાળવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાણી એલિઝાબેથ-2નું 8 સપ્ટેમ્બરે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન થયું હતું. તેમણે 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં 10 લાખ લોકો આવવાની અપેક્ષા છે. આ દરમિયાન દેશભરમાં 250 વધારાની ટ્રેનો દોડશે. ‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ના વડા એન્ડી બાયફોર્ડે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 8 સપ્ટેમ્બરના રોજ રાણીના અવસાન બાદથી લંડનમાં વધારાના મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે સોમવારે પરિવહનની માંગ ઊંચા સ્તરે પહોંચે તેવી શક્યતા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે શનિવારે સાંજે લંડન પહોંચ્યા હતા. મુર્મૂએ રવિવારે વેસ્ટમિન્સ્ટર હોલમાં સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી, જ્યાં એલિઝાબેથ IIનું શરીર રાખવામાં આવ્યું છે. સોમવારે રાણીની અંતિમ વિદાય થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની જીલ બાઈડને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બાઈડન રવિવારે તેમની પત્ની સાથે લંડનના વેસ્ટમિંસ્ટર હોલમાં પહોંચ્યા અને સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સોમવારે સવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાણી એલિઝાબેથ II ના રાજ્યના અંતિમ સંસ્કારનું પ્રસારણ કરવા માટે યુકેના વિવિધ ઉદ્યાનોમાં વિશાળ સ્ક્રીનો ગોઠવવામાં આવશે. આ સાથે ઘણા થિયેટર પણ આ કાર્યક્રમના ટેલિકાસ્ટની તૈયારી કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે રવિવારે આ જાણકારી આપી. ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) એ જણાવ્યું હતું કે યુકેમાં સોમવારને જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને અંતિમવિધિ માટે ભીડ એકઠી થતાં લંડનમાં અનેક જાહેર સ્થળોને ચિહ્નિત કરવામાં આવ્યા છે.
DCMS એ જણાવ્યું હતું કે, “લંડનમાં હાઇડ પાર્ક, શેફિલ્ડમાં કેથેડ્રલ સ્ક્વેર, બર્મિંગહામમાં સેન્ટેનરી સ્ક્વેર, કાર્લિસલમાં બાઇટ્સ પાર્ક, એડિનબર્ગમાં હોલીરૂડ પાર્ક અને ઉત્તરી આયર્લૅન્ડમાં કોલરેન ટાઉન હોલ સહિત દેશભરમાં વિશાળ સ્ક્રીન લગાવવામાં આવશે,” DCMS એ જણાવ્યું હતું. સમગ્ર યુકેમાં કેટલાક સિનેમાઘરો પણ અંતિમ સંસ્કાર કાર્યક્રમ બતાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
રેલ નેટવર્કના વડા પીટર હેન્ડીએ કહ્યું કે, દેશભરમાં લગભગ 250 વધારાની ટ્રેનો ચલાવવામાં આવશે. “લંડન 2012 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ બાદ સોમવારે, સૌથી વધુ સંખ્યામાં લોકો પરિવહન મોડનો આશરો લેશે,” તેમ તેમણે કહ્યું હતું.
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે સોમવારે સવારના અંતિમ સંસ્કાર દરમિયાન ઘોંઘાટને ટાળવા માટે હીથ્રો એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એરપોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે રાણીના અંતિમ સંસ્કાર કાર્યક્રમને કારણે, સોમવારે તેમની 1200 ફ્લાઈટ્સમાંથી લગભગ 15 ટકા ફ્લાઈટ્સ અસર થશે.