
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. બંને નેતાઓ વચ્ચે તેલ અને ગેસના પુરવઠા, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ રવિવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા હતા. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના 26મા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા છે.
SCOનું આ બે દિવસીય શિખર સંમેલન 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહ્યું છે. આ વર્ષે સંગઠને તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મધ્ય એશિયામાં યોજાઈ રહેલા આ મહત્ત્વના સમિટમાં ભારત સહિત અનેક દેશોના અગ્રણી નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત પર સૌની નજર છે. બંને નેતાઓ વચ્ચે ઊર્જા સુરક્ષા અને તેલ-ગેસના પુરવઠા ઉપરાંત મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અને રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત પહેલાં પ્રધાનમંત્રી મોદીએ SCO સમિટ દરમિયાન આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પાશિન્યાન સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે પણ મુલાકાત કરીને વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીની મુલાકાત અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી SCO લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. કિર્ગિઝ રિપબ્લિકના મંત્રીમંડળના અધ્યક્ષ આદિલબેક કાસિમાલિવે એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું.
SCO સમિટ અંગે માહિતી આપતાં રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ સમિટમાં સંગઠનના દસ સભ્ય દેશો, પંદર ભાગીદાર દેશો અને બે નિરીક્ષક દેશો ભાગ લઈ રહ્યા છે. આ મંચ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર સંવાદ અને સહયોગને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બિશ્કેક પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ ઉષ્માભરી મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત અને કિર્ગિઝ રિપબ્લિક વચ્ચેના મિત્રતાના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ભારતીય સમુદાયના ઉત્સાહ અને મૂલ્યવાન યોગદાનની પ્રશંસા કરી હતી.
અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકી બાદ અફરાતફરી