અફઘાનિસ્તાનનું સંગઠન તાલિબાન દાયકાઓથી પાકિસ્તાનનું નિકટનું મિત્ર રહ્યુ છે. 1990 ના દાયકાની શરૂઆતમાં તાલિબાનને ઉભા થવામાં પાકિસ્તાને જ મદદ કરી હતી. તેનો આશય ભારત સાથે દુશ્મનીમાં રણનીતિક બઢત મેળવવાનો હતો. પાકિસ્તાનને ઘણા ખરા અંશે તેમા સફળતા પણ મળી અને તેનું સૌથી મોટુ ઉદાહરણ 1999નુ કંધાર પ્લેન હાઈજેક છે. જો કે આ જે એ જ તાલિબાન પાકિસ્તાનનું સૌથી મોટુ દુશ્મન બની ગયુ છે અને ભારતનું મિત્ર. આજે પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યુ છે અને ભારત તેની સાથે વાતચીત. એવામાં સવાલ એ ઉઠે છે કે આખરે પાકિસ્તાનની રણનીતિમાં ચૂક ક્યા થઈ ગઈ?
9/11 ના હુમલા બાદ જ્યારે અમેરિકાએ અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનની શોધમાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે પણ પાકિસ્તાન તાલિબાનનો હમદર્દ બનીને રહ્યુ. દોગલા પાકિસ્તાને એકતરફ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા સાથે હાથ મિલાવ્યો અને ખૂબ પૈસા પણ કમાયુ, બીજી તરફ તાલિબાનના લગભગ તમામ મોટા નેતાઓને આશ્રય પણ આપ્યો. ખુદ અમેરિકાની ટોચની સૈન્ય અને રાજકીય નેતૃત્વએ પણ સ્વીકાર્યુ છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાની હાર પાકિસ્તાનના બેવડા વલણને કારણે થઈ. અમેરિકાએ પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સૈન્ય સંબંધો તોડી નાખ્યા અને મદદ રોકી લીધી. તેમ છતા પાકિસ્તાને અફઘાન તાલિબાનના આશ્રયદાતા તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખ્યુ.
2021 માં અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈનિકોની વાપસી અને તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કર્યા પછી, સૌથી વધુ જશ્ન પાકિસ્તાને મનાવ્યો હતો. આ પ્રસંગે તાલિબાનને ટેકો આપવા માટે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ના તત્કાલીન વડા – લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ – ખુદ કાબુલ ગયા હતા. તે સમયે, પાકિસ્તાની સરકાર અને તેના મીડિયા આઉટલેટ્સે ગાઈવગાડીને એવો પ્રચાર કર્યો હતો કે તાલિબાનના કાબુલ પર કબજો કરવાથી અફઘાનિસ્તાનમાં ભારતીય રોકાણો ડૂબી ગયા અને તેને નવી દિલ્હી માટે વ્યૂહાત્મક હાર તરીકે દર્શાવવામાં આવ્યું હતું.ભારતે પણ તત્કાલિન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કાબુલમાં તેના દૂતાવાસ તેમજ અન્ય અફઘાન શહેરોમાં સ્થિત તેના કોન્સ્યુલેટ બંધ કરી દીધા હતા. જો કે, તાલિબાન સાથેના સંબંધોમાં સુધારો થયા બાદ, આ રાજદ્વારી મિશન ફરીથી ખોલવામાં આવ્યા હતા.
સોમવારે રાત્રે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો. અફઘાન તાલિબાને દાવો કર્યો હતો કે ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરને નિશાન બનાવતા પાકિસ્તાની હુમલામાં ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા હતા અને 250 ઘાયલ થયા હતા. જોકે, પાકિસ્તાને આ દાવાને નકારી કાઢ્યો હતો, તેના બદલે કહ્યું હતું કે તેણે “આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપતા લશ્કરી ઠેકાણાઓ અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી હતી.” પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ગયા મહિને જણાવ્યું હતું કે આ બે મુસ્લિમ પડોશી દેશો વચ્ચે વધતો તણાવ “ખુલ્લા યુદ્ધ” જેવા તબક્કે પહોંચી ગયો છે.
22 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં બળવાખોર જૂથોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. તે જ મહિનાના અંતમાં, પાકિસ્તાને અફઘાનિસ્તાનના અનેક મુખ્ય શહેરો પર હવાઈ હુમલા શરૂ કર્યા. આ હવાઈ અને જમીની હુમલાઓએ સરહદના અનેક ક્ષેત્રોમાં તાલિબાન લશ્કરી ચોકીઓ, મુખ્યાલયો અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનમાં શાસક શક્તિ તાલિબાને પાકિસ્તાની સરહદી દળો પર હુમલો કર્યા પછી બદલો લેવા માટે આ હુમલાઓ શરૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા, ઓક્ટોબરમાં, બંને દેશો વચ્ચે સરહદ પર અથડામણોમાં ડઝનેક સૈનિકો માર્યા ગયા હતા; તુર્કી, કતાર અને સાઉદી અરેબિયા દ્વારા મધ્યસ્થીના પ્રયાસો બાદ દુશ્મનાવટ બંધ થઈ ગઈ હતી, જેના કારણે નબળો યુદ્ધવિરામ લાગુ થયો હતો.
2021 માં તાલિબાનની સત્તામાં વાપસી બાદ પાકિસ્તાનમાં અચાનક આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળ્યો. સમય જતાં આ વધારો વધુ વ્યાપક બન્યો. પાકિસ્તાનનો આરોપ છે કે ઉગ્રવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના નેતૃત્વ અને અસંખ્ય લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં હાજર છે અને ત્યાંથી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા છે. તે વધુમાં આરોપ લગાવે છે કે બલૂચિસ્તાનની સ્વતંત્રતા ઇચ્છતા સશસ્ત્ર બળવાખોરો પણ અફઘાનિસ્તાનનો ઉપયોગ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કરે છે.
પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે વધતી દુશ્મનાવટ પાછળ માત્ર તાજેતરના હુમલા જ નહીં, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી અવિશ્વસની ખાઈ પણ જવાબદાર છે. ખાસ કરીને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ તરીકે ઓળખાતી ડ્યુરન્ડ લાઇનને લઈને બંને વચ્ચે મતભેદ ઊંડા બન્યા છે. તાલિબાન સરકાર આ સરહદને ઐતિહાસિક રીતે સ્વીકારતી નથી, જ્યારે પાકિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સીમા માને છે. આ મુદ્દાને કારણે સરહદ પર વારંવાર અથડામણો અને ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે બંને વચ્ચે તણાવને વધુ ઉગ્ર બન્યો છે.
બીજી તરફ, પાકિસ્તાનની આંતરિક સુરક્ષા સ્થિતિ પણ આ સંબંધોને અસર કરી રહી છે. પાકિસ્તાનમાં વધતા આતંકવાદી હુમલાઓ માટે તે અફઘાનિસ્તાનમાં બેઠેલા તત્વોને જવાબદાર ઠેરવે છે, જ્યારે તાલિબાન આ આરોપોને નકારી કાઢે છે. તાલિબાન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવા માંગે છે અને કોઈપણ બાહ્ય દબાણ સ્વીકારવા તૈયાર નથી. આ સ્વતંત્ર વલણ પાકિસ્તાન માટે પડકારરૂપ બની ગયું છે, કારણ કે તેને આશા હતી કે તાલિબાન તેની રણનીતિને અનુસરશે.
આર્થિક અને રાજકીય પરિબળો પણ આ વિખવાદ માટે જવાબદાર છે. અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સંકટ, બેરોજગારી અને ગરીબી વધતા તાલિબાન સરકાર પર આંતરિક દબાણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, તે બહારના દેશો સામે કડક વલણ અપનાવીને પોતાની આંતરિક પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. બીજી તરફ, પાકિસ્તાન પોતાનું પ્રાદેશિક પ્રભાવ જાળવવા માંગે છે, પરંતુ બદલાતી પરિસ્થિતિમાં તે પહેલા જેટલું અસરકારક રહ્યું નથી. પરિણામે, એક સમયના સાથીદારો હવે એકબીજાને શંકાની નજરે જોતા થયા છે, અને સંબંધોમાં કડવાશ વધતી રહી છે.
Published On - 9:36 pm, Tue, 17 March 26