
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને ગુરુવારે મોડી રાત્રે TTPના નેતાને નિશાન બનાવીને કાબુલ પર હુમલો કર્યો હતો. અફઘાનિસ્તાને શનિવારે મોડી રાત્રે તેનો વળતો જવાબ આપ્યો. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ભીષણ અથડામણ થવા પામી હતી. અફઘાન મીડિયા અનુસાર, આ અથડામણમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાની હુમલાના જવાબમાં, અફઘાનિસ્તાને શનિવારે મોડી રાત્રે નંગરહાર અને કુનાર પ્રાંતમાં ડ્યુરન્ડ લાઇન નજીક પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલો કર્યો. સુરક્ષા સૂત્રોએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે શનિવારે રાત્રે ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાની દળો વચ્ચેની અથડામણમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. સૂત્રોએ એ પણ અહેવાલ આપ્યો છે કે અફઘાન દળોએ અથડામણમાં મિલ દેહશિકા ટેન્ક કબજે કરી હતી.
વધુમાં, સૂત્રોના અહેવાલ મુજબ કંદહાર પ્રાંતના મૈવંદ જિલ્લામાં પાંચ પાકિસ્તાની સૈનિકોએ ઇસ્લામિક અમીરાતના દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાલિબાન દળોએ પાકિસ્તાની સૈનિકો સામે સશસ્ત્ર બદલો લેવાની શરૂઆત કરી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ઇસ્લામાબાદે અફઘાન પ્રદેશ પર હવાઈ હુમલા કર્યા છે. તાલિબાને હેલમંડ પ્રાંતના દક્ષિણ ભાગમાં બે પાકિસ્તાની સરહદી ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો હતો, જેને સ્થાનિક અધિકારીઓ દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી.
પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ અનેક સરહદી વિસ્તારોમાં અથડામણો સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેઓએ જોરદાર જવાબી હુમલો કર્યો હતો. પાકિસ્તાની સરકારી અધિકારીએ ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે તાલિબાન દળોએ ગઈકાલે રાત્રે અનેક સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.
ગુરુવારે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે અને દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં એક વિસ્ફોટ થયો હતો. આ પછી, તાલિબાન-નિયંત્રિત સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાન પર તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો.
ઇસ્લામાબાદે કાબુલ પ્રત્યે વધતી નારાજગી વ્યક્ત કરી છે, જોકે તેણે હવાઈ હુમલામાં તેની ભૂમિકાની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. ઇસ્લામાબાદે આ હુમલાઓની સ્પષ્ટ જવાબદારી સ્વીકારી નથી, પરંતુ તેણે કાબુલને TTP (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન) ને આશ્રય આપવાનું બંધ કરવા વિનંતી કરી છે. TTP પર 2021 થી સેંકડો પાકિસ્તાની સૈનિકોની હત્યા કરવાનો આરોપ છે, અને તેના લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં તાલીમ મેળવ્યા હોવાનું માનવામાં આવે છે અને અફઘાન તાલિબાન સાથે વૈચારિક સંબંધો ધરાવે છે.
અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન હાલમાં ભારતની મુલાકાતે છે. 2021 માં સત્તા સંભાળ્યા પછી આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી 9 થી 14 ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો મજબૂત થવાથી ગભરાયેલા પાકિસ્તાને, અફધાનિસ્તાન દેશ પર હુમલો શરૂ કર્યો છે તેમ કેટલાક માની રહ્યાં છે. જો કે અફઘાનિસ્તાને પાકિસ્તાનના હુમલાનો વળતો જવાબ આપીને બદલો લીધો છે.
આ પણ વાંચોઃ Breaking News : બોર્ડર પર તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે વધ્યો તણાવ, થયો ભારે ગોળીબાર, જુઓ Video
Published On - 8:27 am, Sun, 12 October 25