Nepal Floods : નેપાળમાં કેમ અચાનક આવ્યું પૂર ? 24 કલાક પછી ચીને નવી જ વાત કહી

Massive Flash Flood in Rasuwa Nepal : ચીની દૂતાવાસે જણાવ્યું છે કે, નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ, ભૂસ્ખલનના કારણે નદીના પાણીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો, જે પૂરનું મુખ્ય કારણ હતું.

Nepal Floods : નેપાળમાં કેમ અચાનક આવ્યું પૂર ? 24 કલાક પછી ચીને નવી જ વાત કહી
| Updated on: Aug 27, 2026 | 2:07 PM

ચીને હવે નેપાળમાં આવેલા અચાનક પૂર અંગે એક નવો દાવો કર્યો છે. ચીને દાવો કર્યો છે કે, પૂરનું કારણ બેઇજિંગ નથી, પરંતુ કાઠમંડુ પોતે જ છે. એક નિવેદનમાં, કાઠમંડુ સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું છે કે, નેપાળમાં પહેલા ભૂકંપ ઉદ્ભવ્યો હોવાથી, ચીન માહિતી આપવામાં નિષ્ફળ ગયું હોવાનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે. ચીને જણાવ્યું હતું કે તેઓ પણ આ પૂરની અસરનો ભોગ બન્યું છે, પૂરને કારણે ચીનના 250 થી વધુ નાગરિકો એકાએક ગુમ થયાના અહેવાલ છે. હાલમાં શોધ કામગીરી ચાલી રહી છે.

નેપાળને પૂરની ચેતવણી 45 મિનિટ મોડી આપવાનો ચીન ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ આક્ષેપના ખુલાસ સ્વરૂપે, નેપાળના કાઠમંડુ સ્થિત ચીની દૂતાવાસે જણાવ્યું હતું કે, ગઈકાલ બુધવારે સવારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, જેના કારણે નદીના માર્ગ ઉપર ભૂસ્ખલન થયું હતું. આના પરિણામે લેન્ડે નદીનો કુદરતી વહેણનો પ્રવાહ અવરોધિત થયો હતો.

ચીનના ગૈરોંગમાં ભારે વિનાશ

ચીની દૂતાવાસે વધુમાં એમ પણ કહ્યું છે કે લેન્ડે નદીના પ્રવાહને અવરોધવાથી પાણીએ તેનો માર્ગ બદલી નાખ્યો હતો. પૂરના પ્રકોપથી ચીનના ગૈરોંગ ક્ષેત્રમાં વિનાશ સર્જાયો છે. ગુમ થયેલા ચીનના 250 લોકો માટે શોધ કામગીરી ચાલુ છે. ચીને ઉમેર્યું કે પૂરના પાણીમાં સેંકડો વાહનો તણાઈ ગયા છે. ચીની રાષ્ટ્રપતિએ બચાવ કામગીરી માટે સૈન્ય તહેનાત કર્યું છે. ચીનનું કહેવું છે કે આ બધું નેપાળમાં આવેલા ભૂકંપનું પરિણામ છે.

ચીની દૂતાવાસે ઉમેર્યું કે પૂર અંગે બેઇજિંગ તરફ આંગળી ચીંધવાનો કે જૂઠાણા ફેલાવવાનો સમય નથી. તેના બદલે, બચાવ અને રાહતની કામગીરીના ઝડપી પ્રયાસનો સમય છે. તેમણે આ કટોકટી દરમિયાન બધા રાષ્ટ્રો સાથે ઊભા રહેવા અને જીવન બચાવવામાં સહયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

પૂર વિશે અગાઉ શું કહેવામાં આવ્યું હતું?

નેપાળી મીડિયા આઉટલેટ eKantipur અનુસાર, તિબેટના ગૈરોંગમાં ભૂકંપના શરૂઆતના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ, ભૂસ્ખલન થયું, જેના કારણે હિમનદીનો એક ભાગ તૂટી ગયો અને નદીના વહેણમાં પડી ગયો. બરફના ઢગલા પડવાની અસરથી તળાવનો કુદરતી બંધ તૂટી ગયો, જેના કારણે પાણી ભોટે કોશી નદીમાં પૂર સ્વરૂપે ફરી વળ્યું.

થોડી જ વારમાં, પાણીનો ધસમસતો પ્રવાહ એક એક પ્રચંડ પ્રવેગમાં ફેરવાઈ ગયો. નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 170 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 1,000 થી વધુ લોકો ગુમ છે. નેપાળે રાહત અને બચાવ કામગીરી માટે ભારત પાસેથી મદદ માંગી છે.


નેપાળના વડા પ્રધાન બાલેન શાહ, બચાવ અને રાહત કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે. દરમિયાન, નેપાળી સંસદમાં ઘણા ધારાસભ્યોએ ચીનની ટીકા કરી છે, અને આરોપ લગાવ્યો છે કે માહિતી સમયસર શેર કરવામાંચીન નિષ્ફળ ગયું, જેના કારણે સમગ્ર દેશમાં વિનાશક પૂર આવ્યું છે.

Breaking News : કૈલાસ માનસરોવર જઈ રહેલા 31 સહિત 105 ભારતીયો નેપાળના પૂરમાં લાપત્તા

Published On - 2:03 pm, Thu, 27 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.