મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને ખાત્મો બોલાવ્યો ?

નસરાલ્લાહને ખતમ કરવાની જાહેરાત પછી, આઈડીએફએ નસરાલ્લાહનું સ્થાન કેવી રીતે શોધી કાઢ્યું, નસરાલ્લાહના મૃત્યુનો આદેશ કોણે આપ્યો ? તે અંગે ચર્ચાઓ વધી જવા પામી છે. ઇઝરાયેલના ત્રણ અધિકારીઓએ હવે આ અંગે ખુલાસો કર્યો છે.

મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને ખાત્મો બોલાવ્યો ?
| Edited By: | Updated on: Sep 29, 2024 | 2:36 PM

ફવાદ શુક્ર, ઈસ્માઈલ હાનિયા અને રેસિસ્ટેંસના ડઝનેક મધ્યમ અને ઉચ્ચ સ્તરીય કમાન્ડરોને માર્યા પછી, ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને પણ મારી નાખ્યો છે. નસરાલ્લાહને ખતમ કરવાની જાહેરાત પછી જ, આઈડીએફએ નસરાલ્લાહનું સ્થાન કેવી રીતે શોધી કાઢ્યું અને નસરાલ્લાહના મૃત્યુનો આદેશ કોણે આપ્યો તે અંગે ચર્ચાઓ મીડિયામાં શરૂ થઈ?

અમેરિકન અખબાર ન્યૂ યોર્ક ટાઇમ્સએ, ઇઝરાયેલના સૂત્રોને ટાંકીને કહ્યું કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ હસન નસરાલ્લાહના ઠેકાણાને મહિનાઓ સુધી ટ્રેક કર્યા અને યોગ્ય સમયની રાહ જોઇ. ત્રણ વરિષ્ઠ ઇઝરાયેલી સંરક્ષણ અધિકારીઓએ ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે, શુક્રવારે હિઝબુલ્લાના મુખ્ય મથક પર હુમલો કરવાનો નિર્ણય ઇઝરાયેલી લશ્કરી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો, કારણ કે તેમને ડર હતો કે નસરાલ્લાહ ટૂંક સમયમાં અન્ય સ્થળે જતો રહેશે.

સમાચાર અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન આપવા માટે રવાના થાય તે પહેલા જ આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારો પરથી જાણવા મળ્યું છે કે IDF અને મોસાદ પાસે પહેલાથી જ ઈન્ટેલિજન્સ ઈનપુટ હતા કે હિઝબુલ્લાહ ટૂંક સમયમાં એક બેઠક યોજવા જઈ રહી છે, જેમાં હિઝબુલ્લાહના મોટા નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

નસરાલ્લાહને મારવા માટે ભારે બોમ્બમારો

ન્યૂયોર્ક ટાઈમ્સે સૂત્રોને ટાંકિને જણાવ્યું કે, ઈઝરાયેલે નસરાલ્લાહને મારવા માટે લગભગ 2 હજાર પાઉન્ડ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. અહેવાલો અનુસાર, આ હુમલો એટલો ખતરનાક હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સંભળાયો હતો અને નાગરિકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો.


અલ જઝીરાના અહેવાલ અનુસાર ઈઝરાયેલમાં બનેલા અમેરિકન GBU-31 JDAM અને સ્પાઈસ 2000 બોમ્બથી બેરૂતને નષ્ટ કરી દીધું છે. GBU-31 JDAM એ એક લક્ષ્ય સાધન કીટ છે જે અનગાઇડેડ ફ્રી-ફોલ બોમ્બને ચોકસાઇવાળા વોરહેડ્સમાં રૂપાંતરિત કરે છે. જેડીએએમ કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે અને ફાઈટર પ્લેનમાંથી છોડવામાં આવેલા બોમ્બને હવાથી સપાટી પર ચોક્કસ રીતે લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.

નસરાલ્લાહ પછી હિઝબુલ્લાહ કોણ સંભાળશે?

અહેવાલો અનુસાર, હિઝબુલ્લાહના મોટા ભાગના મોટા નેતાઓ ખતમ થઈ ગયા છે. નસરાલ્લાહ પછી, જે નામ ટોચ પર છે તે સફીદીન છે. ઈઝરાયેલના અધિકારીઓનું માનવું છે કે નસરાલ્લાહ બાદ હિઝબુલ્લાના વરિષ્ઠ નેતાઓમાંના એક હાશેમ સફીદીન હિઝબુલ્લાની કમાન સંભાળી શકે છે. અહેવાલો અનુસાર, જ્યારે હુમલો થયો ત્યારે સફીદીન મીટિંગમાં હાજર નહોતો.

સફીદીનને 2017માં અમેરિકા દ્વારા આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ છે. હાલમાં તે હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને જૂથની રાજકીય બાબતો માટે જવાબદાર છે.

આ અહેવાલો પરથી સ્પષ્ટપણે જણાય છે કે, હિઝબુલ્લા સામે ઈઝરાયેલ તેની સૈન્ય વ્યૂહરચનાઓને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે અને હિઝબુલ્લાનું નેતૃત્વ ક્યાં શિફ્ટ થશે તેના પર પણ નજર રાખી રહ્યું છે.