
નરેન્દ્ર મોદી સરકારે ફરી એકવાર પાકિસ્તાન માટે તણાવ વધાર્યો છે. સરકારે હવે ચેનાબ નદીને બિયાસ બેસિન સાથે જોડવાની સમયમર્યાદા નક્કી કરી છે. આ સમયમર્યાદા હવે નક્કી થતાં, ભારત આ પ્રોજેક્ટ પર કામ ઝડપી બનાવવા માટે તૈયાર છે. આ પહેલ હેઠળ, 8.7 કિલોમીટર લાંબી ટનલ દ્વારા પાણી વાળવામાં આવશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે, ચેનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિનમાં વાળવા માટે, આગામી 31 જુલાઈ, 2029 ની સમયમર્યાદા નક્કી કરી છે. અંદાજે રૂપિયા 2,352 કરોડના, આ મહત્વાકાંક્ષી ચેનાબ-બિયાસ લિંક ટનલ પ્રોજેક્ટ, હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં સ્થિત છે. આશરે 8.7 કિલોમીટર લાંબી ટનલ દ્વારા, ચેનાબ નદીમાં વહેતુ વધારાનું પાણી, બારોબાર બિયાસ બેસિન સિસ્ટમ તરફ વાળવામાં આવશે, જેનાથી સિંધુ બેસિન થકી પાકિસ્તાનમાં વહેતા પાણીનું પ્રમાણમાં સાવ ધટાડો થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચેનાબ નદી એક “પશ્ચિમી નદી” છે, જેના પર ભારત અગાઉ સિંધુ જળ સંધિ હેઠળ ફક્ત મર્યાદિત અધિકારો ધરાવતુ હતુ. જોકે, ગયા એપ્રિલ 2025માં પહેલગામમાં પાકિસ્તાનના મુસ્લિમ આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ, ભારતે પાણી અને લોહી એકસાથે ના વહી શકે તેમ જાહેર કરીને સિંધુ સંધિને રાતોરાત રદી કરી નાખી હતી.
મીડિયા અહેવાલ મુજબ, ચેનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિનમાં વાળવા માટેનો “લિંક-3” પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ જિલ્લાની લાહૌલ ખીણમાં ચેનાબ નદી પર આકાર પામશે. હાલની દરખાસ્ત અનુસાર ચેનાબ નદી પર 19-મીટર ઊંચા બંધનુ નિર્માણ કરવાની તૈયારી ચાલી છે, જેમાં એક ઇન્ટેક સ્ટ્રક્ચર અને લગભગ 8.7 કિલોમીટર સુધી ફેલાયેલી જળ પરિવહન ટનલનો સમાવેશ થાય છે. વધુમાં, પ્રોજેક્ટના બીજા તબક્કામાં જળવિદ્યુત ઉત્પાદનની સંભાવના છે.
ચેનાબ નદીના વધારાનુ પાણી જ્યાથી ડાયવર્ઝન કરવાનુ છે તે કોસ્કર ગામ નજીક સ્થિત છે. જે અટલ ટનલ (રોહતાંગ) ના ઉત્તરીય ભાગથી ઉપરના ભાગમાં સ્થિત છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ જણાવ્યુ છે કે, આ પહેલ ફક્ત જળવિદ્યુત શક્તિ અથવા એન્જિનિયરિંગ વિશે નથી. તેના બદલે, તે મૂળભૂત રીતે પશ્ચિમી નદીઓના પાણીના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા વિશે છે.
સિંધુ જળ સંધિ રદ કર્યા પછી, ભારત દ્વારા પાકિસ્તાનમાં વહેતા પાણીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત હવે પાકિસ્તાનમાં જતા પાણીનો મોટો જથ્થો વાપરી શકશે, જ્યારે પાકિસ્તાન પહોંચતા પાણીનો પ્રવાહ નવા પ્રોજકેટના કારણે ઘટશે.
ભારત સરકારના આ નિર્ણયથી આશરે 4,000 મેગાવોટ વધારાની જળવિદ્યુત શક્તિ ઉત્પન્ન થવાની અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તરીય રાજ્યોમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાઓમાં વધારો થવાની અપેક્ષા છે.
1960ની સિંધુ જળ સંધિ હેઠળ, ચેનાબ નદીના મોટા ભાગનુ પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યુ હતુ, જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નહેરોના વ્યાપક નેટવર્ક દ્વારા સિંચાઈ હેતુઓ માટે તેનો ઉપયોગ કરે છે.
જોકે, જમ્મુ અને કાશ્મિરના પહેલગામમાં પાકિસ્તાનના મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા, નિર્દોષ હિન્દુ પ્રવાસીઓ ઉપર કરેલા હિંચકારા હુમલા બાદ, ભારત હવે ચેનાબ નદીના પાણીનો ઉપયોગ તેની પોતાની પ્રાદેશિક મર્યાદામાં મહત્તમ કરી રહ્યું છે.
ભારત હાલમાં ટનલ સિસ્ટમ દ્વારા આ વધારાનું પાણી પોતાની તરફ વાળવાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. આ પહેલ ભારતની પાણી અને ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે સેવા આપી રહી છે.