ઈઝરાયેલ અને અમેરિકા સામે છેલ્લા 19 દિવસથી યુદ્ધ લડી રહેલું ઈરાન એક પછી એક પોતાના ટોચના નેતાઓને ગુમાવી રહ્યું છે. ઈરાનના સુરક્ષા ચીફ અલી લારીજાની બાદ હવે તેના ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. એપી (AP) ના રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલના રક્ષા મંત્રી કાત્ઝે દાવો કર્યો છે કે, ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાની પછી હવે ગુપ્તચર મંત્રી ઈસ્માઈલ ખાતિબ પણ ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયા છે. જો કે, આ અંગે ઈરાન તરફથી હજુ સુધી પ્રતિક્રિયા આવવાની બાકી છે.
ELIMINATED: Esmaeil Khatib, the Iranian terrorist regime Minister of Intelligence, in a targeted strike in Tehran.
Khatib played a significant role during the recent protests throughout Iran, including the arrest & killing of protestors and led terrorist activities against… pic.twitter.com/654lpYCZ1c
— Israel Defense Forces (@IDF) March 18, 2026
ઈસ્માઈલ ખાતિબને ઠાર મારવાનો દાવો કર્યા બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રી કાત્ઝે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નેતન્યાહુ અને મેં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) ને ગુપ્ત માહિતી અને ઓપરેશનલ વિન્ડો મળતાની સાથે જ કોઈપણ વધારાની પરવાનગી વગર કોઈપણ વરિષ્ઠ ઈરાની અધિકારીને ખતમ કરવાનો અધિકાર આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, આજે પણ તમામ મોરચે મહત્વપૂર્ણ અને ચોંકાવનારી ઘટનાઓ બનશે.”
ઈસ્માઈલ ખાતિબના મોતના એક દિવસ પહેલા મંગળવારે ઈરાનના સુરક્ષા ચીફ અલી લારીજાનીની પણ ઈઝરાયેલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. લારીજાનીના મોતની પુષ્ટિ ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ કરી દીધી છે. હવે ઈરાનના ગુપ્તચર મંત્રી ખાતિબના મોતનો પણ ઈઝરાયેલે દાવો કર્યો છે, જે ઈરાન માટે ખૂબ જ મોટો ફટકો માનવામાં આવે છે. અલી લારીજાની ઈરાનની સુરક્ષા નીતિઓના મુખ્ય ચહેરો હતા અને તેઓ પશ્ચિમી દેશો સાથેની પરમાણુ મંત્રણામાં પણ જોડાયા હતા. ઈઝરાયેલે તેમને “શાસનના પ્રભાવી નેતા” ગણાવ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર મોર્તેઝા લારીજાની અને ઓફિસ ચીફ અલીરેઝા બયાત પણ માર્યા ગયા હતા.
IDF ના તાજેતરના હુમલામાં માર્યા ગયેલા ઈસ્માઈલ ખાતિબ ઈરાનના ગુપ્તચર મંત્રાલય (MOIS) ના વડા હતા. ઈઝરાયેલી સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની સાથે મંત્રાલયના અન્ય ચાર વરિષ્ઠ અધિકારીઓ પણ ઠાર મરાયા છે. ઈઝરાયેલ અને અમેરિકા સામેના આ યુદ્ધમાં ઈરાન અત્યાર સુધીમાં પોતાના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેની સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને ગુમાવી ચૂક્યું છે.
એક રિપોર્ટ અનુસાર ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 40 વરિષ્ઠ ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલાઓ ઈરાનના સૈન્ય કમાન્ડ, મિસાઈલ અડ્ડાઓ અને તેના નેતૃત્વને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યા છે. ઈરાન તરફથી પણ ઈઝરાયેલ અને અમેરિકી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ છે પરંતુ ઈરાનના નેતૃત્વને ભારે નુકસાન થયું છે.
આ યુદ્ધ ઈરાન માટે અભૂતપૂર્વ સંકટ છે. ખામેનીના મોત બાદ લારીજાની અને ખાતિબ જેવા શીર્ષ નેતાઓનું માર્યા જવું એ ઈરાની શાસનની કરોડરજ્જુ તોડવા સમાન માનવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ તેને “એક્સિસ ઓફ એવિલ” વિરુદ્ધ મોટી જીત ગણાવી રહ્યું છે. આવા સમયે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ઈરાને હજુ સુધી ખાતિબના મોતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
Published On - 5:44 pm, Wed, 18 March 26