
ઈરાનમાં વિરોધ પ્રદર્શન ઝડપથી હિંસામાં ફેરવાઈ ગયો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા છે અને 1,200 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. રસ્તા પર આગ લાગવી, તોડફોડ અને સુરક્ષા દળો સાથે અથડામણો સામાન્ય બની ગયું છે.
ઈરાનના લોકો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. યુએસ પ્રતિબંધ, નબળા ચલણ અને ઊંચા ફુગાવાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. ડિસેમ્બર 2025 ના અંત સુધીમાં ઈરાની ચલણ રિયાલ પ્રતિ ડોલર આશરે 1.45 મિલિયન રિયાલના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું હતું.
ફુગાવો 42.5% સુધી પહોંચી ગયો છે. ખાવા-પીવાની વસ્તુઓ, ઇંધણ અને દૈનિક જરૂરિયાતો સામાન્ય લોકોના પહોંચની બહાર જતી રહી છે. હવે આ ગુસ્સાને કારણે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
વિરોધ પ્રદર્શન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઘણા શહેરોમાં લોકો “સરમુખત્યારને મોત” જેવા નારા લગાવતા જોવા મળી રહ્યા છે. આ સૂત્રોચ્ચાર સીધા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની વિરુદ્ધ માનવામાં આવી રહ્યા છે, જેઓ દેશમાં સર્વોચ્ચ સત્તા ધરાવે છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, આંદોલન હવે આર્થિક રાહત સુધી મર્યાદિત નથી પરંતુ રાજકીય પરિવર્તનની માંગમાં બદલાઈ ગયું છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) ખામેનીએ વિરોધ પ્રદર્શન પર કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે, “તોફાનો કરનારાઓને તેમની જગ્યા બતાવવી જ જોઇએ,” જેને સુરક્ષા દળો માટે કડક કાર્યવાહી કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને થોડું નરમ વલણ અપનાવ્યું છે. તેમણે વાતચીત માટે હાકલ કરી છે અને કેટલીક આર્થિક રાહતની જાહેરાત કરી છે. સરકારે પ્રતિ વ્યક્તિ દર મહિને 10 મિલિયન રિયાલનું ઇલેક્ટ્રોનિક ફૂડ ક્રેડિટ અને વિદેશી ચલણ સબસિડી સિસ્ટમમાં ફેરફાર કરવાનું વચન આપ્યું છે. જો કે, આ જાહેરાત પણ વિરોધીઓના ગુસ્સાને શાંત કરવામાં નિષ્ફળ ગઈ છે.
આ પરિસ્થિતિ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પરિસ્થિતિ વધુ વણસી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, જો ઈરાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હુમલો કરવામાં આવશે, તો અમેરિકા ચૂપ નહીં રહે. તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકા “સંપૂર્ણપણે તૈયાર” છે.
આ ચેતવણીને વધુ ગંભીર માનવામાં આવે છે, કારણ કે તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલામાં સીધો હસ્તક્ષેપ કરીને ત્યાંના રાષ્ટ્રપતિને પકડીને ન્યૂયોર્ક લઇ જવાની કાર્યવાહી કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો ઈરાનમાં વધુ લોકોને મારવામાં આવ્યા, તો ત્યાંની સરકારને “ખૂબ ભારે કિંમત” ચૂકવવી પડશે.
નિષ્ણાતો માને છે કે, જો ઈરાનમાં હિંસા વધુ વધશે, તો અમેરિકા કડક પગલાં લઈ શકે છે. બીજીબાજુ કેટલાક નિષ્ણાતો કહે છે કે, ઈરાન માટે સૌથી મોટો ખતરો બહારનો હુમલો નથી પરંતુ અંદરથી ભાંગી પડેલી અર્થવ્યવસ્થા છે. તેમના મતે, સરકાર કોઈક રીતે વર્તમાન વિરોધ પ્રદર્શનનો સામનો કરી શકે છે પરંતુ તેની પાસે આર્થિક સંકટનો કોઈ નક્કર ઉકેલ નથી. આ જ કારણ છે કે, પરિસ્થિતિ લાંબા સમય સુધી અસ્થિર છે.
ઈરાન આજે બે મોરચે કટોકટીનો સામનો કરી રહ્યું છે. આમાં એક તરફ રસ્તાઓ પર ભડકેલો જનાક્રોશ અને બીજી તરફ અમેરિકાની ખુલ્લી ચેતવણીઓનો સમાવેશ થાય છે. મોંઘવારીથી શરૂ થયેલો ગુસ્સો હવે સત્તાના મૂળ સુધી પહોંચી ગયો છે.
હવે પ્રશ્ન એ છે કે, શું ઈરાની સરકાર સુધારાઓ દ્વારા પરિસ્થિતિનો સામનો કરશે કે બળથી વિરોધ પ્રદર્શનોને કચડી નાખવાનો પ્રયાસ કરશે? આવનારા દિવસો નક્કી કરશે કે, આ આગ અહીં જ અટકશે કે આખા વિસ્તારને પોતાની ઝપેટમાં લેશે?
Published On - 6:45 pm, Tue, 6 January 26