
અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના નૌકાદળના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બરની સાંજે ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત દેખરેખ મિશન દરમિયાન આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લઈને નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના એક જવાબદાર અધિકારીને તલબ કરીને સખત વિરોધ નોંધાવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉત્તર અરબી સમુદ્રમાં નિયમિત પેટ્રોલિંગ અને દેખરેખ મિશન પર તૈનાત ભારતીય નૌકાદળના એક મુખ્ય યુદ્ધ જહાજની નજીક પાકિસ્તાની નૌકાદળનું જહાજ ખૂબ જ ઝડપથી આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની જહાજ દ્વારા કરવામાં આવેલા દાવપેચને ભારતે બિનવ્યાવસાયિક અને અસુરક્ષિત ગણાવ્યા છે. આ દાવપેચના પરિણામે બંને જહાજો વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, અત્યાર સુધીની માહિતી મુજબ આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી.
ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના જવાબદાર અધિકારીને બોલાવીને આ ઘટનાને લઈને સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારતે દરિયામાં પાકિસ્તાની નૌકાદળના જહાજ દ્વારા કરવામાં આવેલા વર્તન સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને તેને અસ્વીકાર્ય તથા બિનવ્યાવસાયિક ગણાવ્યું હતું.
ભારતે પાકિસ્તાની અધિકારીને સૂચના આપી છે કે તેઓ આ મુદ્દો સંબંધિત પાકિસ્તાની સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવે. સાથે જ બંને દેશોના લશ્કરી એકમોએ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ અને બંને દેશો વચ્ચે થયેલા કરારોની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે.
ભારતના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય જળસીમામાં બનેલી આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ પાકિસ્તાની નૌકાદળના જહાજનું વર્તન ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલ 1991માં થયેલા કરારની કલમ 10 સાથે સંબંધિત જોગવાઈઓના ઉલ્લંઘન તરીકે જોવામાં આવ્યું છે.
આ કરારનો મુખ્ય હેતુ બંને દેશોની સૈન્ય પ્રવૃત્તિઓને કારણે ઊભી થઈ શકે તેવી ગેરસમજ અને અકસ્માતોને રોકવાનો છે. કરારમાં બંને દેશોની સૈન્ય પ્રવૃત્તિઓ, કવાયત, દાવપેચ અને સૈનિકોની હિલચાલ અંગે કેટલીક જોગવાઈઓ નક્કી કરવામાં આવી છે.
1991ના કરારમાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારત અને પાકિસ્તાનના નૌકાદળના જહાજો તથા સબમરીનની કામગીરીને લઈને પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. અકસ્માત ટાળવા માટે બંને દેશોના નૌકાદળના જહાજોએ એકબીજાની ખૂબ નજીક ન આવવું જોઈએ તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં એકબીજાથી ત્રણ નોટિકલ માઈલથી વધુનું અંતર જાળવવાની જોગવાઈનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
આ ઘટનાને લઈને ભારત સરકારે ઇસ્લામાબાદ સ્થિત પોતાના પ્રતિનિધિને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ પણ સમાન વિરોધ નોંધાવવા માટે સૂચના આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દરિયામાં બંને દેશોના નૌકાદળના જહાજો વચ્ચે આવી સ્થિતિ ફરી ઊભી ન થાય તે માટે સંબંધિત પક્ષોએ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.
હાલમાં આ ટક્કરમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. જોકે, ભારતે આ ઘટનાને લઈને પાકિસ્તાની નૌકાદળના જહાજના દાવપેચ સામે રાજદ્વારી સ્તરે વાંધો નોંધાવ્યો છે અને બંને દેશો વચ્ચેના સંબંધિત કરારોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
અમદાવાદ પાસપોર્ટ ફ્રોડ કેસમાં ATS ની કાર્યવાહી, આરોપીની ધરપકડ, જુઓ Video