સત્તાધારી મોટા ભારતીય નેતા (Indian Politician) પર હુમલાના કાવતરામાં રશિયામાં પકડાયેલા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારે સૂત્રોએ જાણકારી આપી છે કે આ આતંકવાદીની પૂછપરછ માટે ભારતીય તપાસ એજન્સી એનઆઈએ (NIA) રશિયા જઈ શકે છે. રશિયાની સ્ટેટ ઇન્ટેલિજન્સ અને તપાસ એજન્સીએ મંગળવારે એનઆઈએ સાથે આતંકીઓની જાણકારી શેર કરી હતી. એવી જાણકારી પણ સામે આવી છે કે આ આતંકી ભારતમાં મોટા ફિદાયીન આતંકી હુમલાને અંજામ આપવાની પણ યોજના બનાવી રહ્યો હતો.
રશિયાએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભારતીય નેતા પર આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડવા બદલ ઇસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)ના એક આતંકવાદીની ધરપકડ કરી છે. રશિયાની ગુપ્તચર એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિ મધ્ય એશિયાઈ દેશનો છે અને તેને આત્મઘાતી હુમલો કરવાની ટ્રેનિંગ લીધી હતી.
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસે રિપોર્ટ આપ્યો છે કે રશિયાની ગુપ્તચર એજેન્સી સંઘીય સુરક્ષા સેવા (એફએસબી) મુજબ પ્રતિબંધિત ઇસ્લામિક સ્ટેટના એક નેતાએ આ વર્ષે એપ્રિલ અને જૂન વચ્ચે તુર્કીમાં પ્રવાસ દરમિયાન એક વિદેશી નાગરિકને આત્મઘાતી બોમ્બર તરીકે સંસ્થામાં ભરતી કર્યો હતો. એફએસબીએ કહ્યું, સંઘીય સુરક્ષા સેવાને આંતરરાષ્ટ્રીય આંતકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સભ્યની રશિયામાં ઓળખ થઈ અને પકડી લીધો. અટકાયત કરાયેલ વ્યક્તિ મધ્ય એશિયાના એક દેશનો નાગરિક છે અને તેને ભારતના શાસક પક્ષના ટોપના નેતૃત્વના સભ્ય પર આત્મઘાતી હુમલાની યોજના બનાવી હતી.
એફએસબીના સેન્ટર ફોર પબ્લિક રિલેશન્સ (સીપીઆર) એ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ અને ઇસ્તંબુલમાં આઈએસઆઈએસના એક પ્રતિનિધિ સાથે વ્યક્તિગત મુલાકાત દરમિયાન તેમના મગજમાં સંગઠનની વિચારધારા ઉભી થઈ હતી. સમાચાર મુજબ એફએસબી એ ઉલ્લેખ કર્યો કે આતંકવાદીએ આઈએસઆઈએસના અમીર (પ્રમુખ) પ્રત્યે વફાદારીના શપથ લીધા, ત્યારબાદ તેને રશિયા જઈને જરૂરી દસ્તાવેજો મેળવવા નિર્દેશિત કરવામાં આવ્યો હતો, જેથી તે ભારત જઈ શકે અને આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે. રશિયાની ગુપ્તચર એજન્સીએ આતંકવાદીની ઓળખ જાહેર કરી નથી. તેને કબૂલ્યું છે કે તે પયગંબર મોહમ્મદનું અપમાન કરવા માટે ભારતના શાસક પક્ષના સભ્ય વિરુદ્ધ આતંકવાદી કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યો હતો.