
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો જ અગાઉના નિર્ણયને હળવો કર્યો છે. જેના કારણે, અમેરિકામાં રહીને ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લાખો ભારતીય સહિતનાને ઘણીબધી રાહત મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે, ગ્રીનકાર્ડ બાબતે પહેલા એવું ઠરાવ્યું હતું કે, જેઓને ગ્રીનકાર્ડ લેવાનુ છે તેઓને તેમના મૂળ દેશમાં પરત ફરીને ગ્રીનકાર્ડ માટે અરજી કરવી પડશે. ટ્રમ્પના આ નિર્ણયને કારણે, યુએસએમાં રહેતા અને ગ્રીનકાર્ડ મેળવવાનો પ્રયાસ કરનારા અનેક ભારતીયોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી.
ગત 22 મેના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના પ્રવક્તા જેક કાલરે જણાવ્યું હતું કે “અસાધારણ સંજોગો” સિવાય, યુ.એસ.માં કામચલાઉ વિઝા પર રહેતા વિદેશી નાગરિકોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરતા પહેલા તેમના વતન પાછા ફરવું પડશે. આ નિવેદનથી લાખો ભારતીયો, H-1B વર્ક વિઝા ધારકો, વિદ્યાર્થીઓ અને યુ.એસ.માં રહેતા અન્ય ઇમિગ્રન્ટ્સમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ. આ તમામને એવી આશંકા હતી કે, ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમને ભારત પાછા ફરવાની ફરજ પાડવામાં આવી શકે છે, આ એક એવું પગલું હતુ જેનાથી તેમની નોકરીઓ, પરિવારો અને ઇમિગ્રેશન સ્ટેટસ પર ગંભીર અસર પડી શકે છે.
હવે, અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ સ્પષ્ટતા કરી છે કે, આ નિયમ બધા અરજદારોને લાગુ નહીં પડે. ગ્રીનકાર્ડ મેળવવા ઈચ્છતા દરેક વ્યક્તિના કેસની વ્યક્તિગત રીતે સમીક્ષા કરવામાં આવશે, અને “કેસ-બાય-કેસ”ના આધારે નિર્ણયો લેવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે હાલમાં યુ.એસ.માં હાજર મોટાભાગના પાત્ર અરજદારો યોગ્ય પ્રક્રિયાનો ઉપયોગ કરીને દેશ છોડ્યા વિના પણ ગ્રીન કાર્ડ મેળવી શકે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે, આ કોઈ નવો કાયદો નથી, પરંતુ હાલના નિયમોનું પુન: ર્અર્થઘટન છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના અધિકારીઓના મતે, આનાથી લાયક અને કાનૂની માધ્યમો દ્વારા અરજી કરી રહેલા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો પર કોઈ મોટી પ્રતિકૂળ અસર પડશે નહીં. ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વ્યાવસાયિકો માટે અગ્રણી દેશ છે. હજારો ભારતીયો વર્ષોથી ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોવાની યાદીમાં છે. જો મૂળ જાહેરાતને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવી હોત તો…..
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રની નવી સ્પષ્ટતા પછી, વ્યાપક નકારાત્મક પરિણામોનો તાત્કાલિક ભય નોંધપાત્ર રીતે ઓછો થયો છે. નોંધનીય છે કે ભારતીયો યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદેશી વ્યાવસાયિક સમુદાય બનાવે છે. દર વર્ષે, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને આઇટી વ્યાવસાયિકો ગ્રીન કાર્ડ માટે અરજી કરે છે. ભારતીયો માટે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ માટે રાહ જોવાનો સમયગાળો પહેલાથી જ ઘણા વર્ષો સુધી લંબાયો છે, અને કેટલાક કિસ્સાઓમાં, દાયકાઓ સુધી પણ. પરિણામે, ઇમિગ્રેશન નીતિમાં કોઈપણ ફેરફાર ભારતીય સમુદાય પર તેની સૌથી નોંધપાત્ર અસર કરે છે.