હોર્મુઝ જળમાર્ગમાં તણાવ સતત વધી રહ્યો છે, જ્યાં અમેરિકાએ ઈરાન સામે દરિયાઈ નાકાબંધી વધુ કડક બનાવતા વૈશ્વિક વેપાર પર ગંભીર અસર જોવા મળી રહી છે. અમેરિકાના સૈન્ય કમાન્ડના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 31 જહાજોને તેમના ગંતવ્ય સુધી જવા બદલે પાછા ફરવા અથવા બંદરો પર પરત જવા માટે દબાણ કરવામાં આવ્યું છે.
13 એપ્રિલથી શરૂ થયેલી આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાન સાથેના દરિયાઈ વેપારને અટકાવવાનો છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ જહાજને ઈરાની બંદરોમાં પ્રવેશ કે બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
આ નાકાબંધી ફક્ત મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નથી પરંતુ અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ થઈ રહ્યો છે. રોકાયેલા જહાજોમાં મોટાભાગે તેલ વહન કરનાર જહાજોનો સમાવેશ થાય છે અને મોટાભાગના જહાજોએ અમેરિકાના આદેશોનું પાલન કર્યું છે. આ કામગીરી માટે 10,000થી વધુ સૈનિકો, 100થી વધુ લડાકૂ અને દેખરેખ વિમાનો તેમજ 17થી વધુ યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે.
હોર્મુઝમાં ટ્રાફિક ક્યારે ફરી શરૂ થશે?
વિશ્વના મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંના એક હોર્મુઝ જળમાર્ગ પર આ નાકાબંધીનો સૌથી મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. અહીં જહાજોની અવરજવર નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો છે અને નજીકના સમયમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. બજારના આંકડા મુજબ 30 જૂન સુધી સ્થિતિ સામાન્ય થવાની સંભાવના લગભગ શૂન્ય છે, જેના કારણે વૈશ્વિક વેપાર અને રોકાણકારોના વિશ્વાસ પર અસર પડી રહી છે.
યુએસ નાકાબંધી ક્યારે સમાપ્ત થશે?
નિષ્ણાતોના મતે આ પગલું માત્ર લશ્કરી નહીં પરંતુ ઈરાન પર આર્થિક દબાણ વધારવાની વ્યૂહરચનાનો ભાગ છે. યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યું હોવા છતાં, વાટાઘાટોમાં કોઈ ચોક્કસ પ્રગતિ જોવા મળી નથી, જેના કારણે નાકાબંધી યથાવત્ રહેવાની શક્યતા છે.
હાલ સમગ્ર વિશ્વની નજર અમેરિકાની અને ઈરાનની આગળની કાર્યવાહી પર ટકેલી છે. કોઈ સમજૂતી થાય છે કે નહીં અને લશ્કરી પ્રવૃત્તિમાં શું ફેરફાર થાય છે તે આધારે પરિસ્થિતિમાં બદલાવ આવી શકે છે, પરંતુ હાલના સંકેતો મુજબ તણાવ ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા ઓછી છે.