
જર્મનીની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની Volkswagen AG એકવાર ફરી મોટાપાયે કોસ્ટ કટિંગ (ખર્ચમાં ઘટાડો) કરવાની તૈયારીમાં છે. Manager Magazin ના અહેવાલ મુજબ, કંપની આગામી થોડા વર્ષોમાં 1 લાખ સુધીની નોકરીઓ ઓછી કરી શકે છે. આ સાથે જ જર્મનીમાં ચાર ફેક્ટરી બંધ કરવા અને સમગ્ર ગ્રુપના માળખામાં મોટા ફેરફારો કરવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે.
અહેવાલ અનુસાર, કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ઓલિવર બ્લૂમે આ અઠવાડિયે મેનેજમેન્ટ બોર્ડની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં Volkswagen Group માં આશરે 6.57 લાખ કર્મચારીઓ કામ કરે છે. આ પ્રસ્તાવ પર આવતા મહિને સુપરવાઇઝરી બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
અહેવાલ મુજબ, કંપની વર્ષ 2030 સુધીમાં 11 અબજ યુરો (આશરે 12.5 અબજ ડોલર) નો ઓવરહેડ ખર્ચ ઓછો કરવા માંગે છે. આ માટે જર્મનીના નેકાર્સુલ્મ સ્થિત Audi પ્લાન્ટ ઉપરાંત હેનોવર, ઝ્વિકાઉ અને એમ્ડેનમાં Volkswagen ના પ્લાન્ટ બંધ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. કંપની કમ્પોનન્ટ્સ યુનિટ અને મુખ્ય Volkswagen બ્રાન્ડના માળખામાં પણ ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે, જેથી બિઝનેસને વધુ નફાકારક બનાવી શકાય.
Volkswagen પહેલાથી જ વર્ષ 2030 સુધીમાં 50,000 કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું લક્ષ્ય જાહેર કરી ચૂકી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં આશરે 28,000 કર્મચારીઓ કંપની છોડવા માટે સહમત થઈ ગયા છે. કંપનીએ પોતાની વાર્ષિક પ્રોડક્શન કેપેસિટી (ઉત્પાદન ક્ષમતા) પણ 1.2 કરોડ વાહનોથી ઘટાડીને આશરે 90 લાખ વાહનો કરવાની દિશામાં પગલાં ભર્યા છે.
Volkswagen પર અમેરિકાના ટેરિફ, ચીનમાં સતત નબળી પડી રહેલી માંગ અને યુરોપમાં BYD તથા Stellantis જેવી કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધાનું દબાણ છે. આ જ કારણે કંપની પોતાના બિઝનેસને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે મોટા પાયે પુનર્ગઠન (રિસ્ટ્રક્ચરિંગ) કરી રહી છે.
જો કે, કંપનીની આ યોજનાનો કર્મચારી સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધો છે. કંપનીની વર્ક્સ કાઉન્સિલ અને IG Metall યુનિયને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, આવી યોજનાઓ કર્મચારીઓ અને જે વિસ્તારોમાં Volkswagen કાર્યરત છે, ત્યાં ચિંતા ઊભી કરે છે. યુનિયને સ્પષ્ટ કર્યું છે કે, જો આ પ્રસ્તાવોને આગળ વધારવામાં આવશે, તો તેનો પૂરી તાકાતથી વિરોધ કરવામાં આવશે.
Volkswagen ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીએ મોટા ફેરફારોમાંથી પસાર થવું પડશે. નોંધનીય છે કે, તેમણે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવેલા પ્રસ્તાવો પર સીધી કોઈ ટિપ્પણી કરી ન હતી. તેમનું કહેવું છે કે, એક્ઝિક્યુટિવ બોર્ડ છેલ્લા કેટલાક મહિનાઓથી કંપનીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવા પ્લાન પર કામ કરી રહ્યું છે.