
વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદના એકદમ નજીકના સહયોગી અને આતંકવાદી જૂથ લશ્કર એ તૈયબાના સ્થાપક સભ્યોમાંના એક એવા અમીર હમઝાને પાકિસ્તાનમાં, અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી છે. આ હુમલા અંગે સામે આવી રહેલ વિગતો અનુસાર, પાકિસ્તાનના લાહોરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના પરિસરની બહાર, એક અજાણ્યા હુમલાખોરે અમીર હમઝાને નિશાન બનાવ્યો હતો. અમીર હમઝાને ગોળી વાગ્યા બાદ અત્યંત ગંભીર હાલતમાં લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ટુંકમાં અજાણ્યા હુમલાખોરે મારેલી ગોળી બાદ અમીર હમઝા, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
અમીર હમઝાએ 1987માં આતંકવાદી હાફિઝ સઈદ સાથે મળીને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાની સ્થાપના કરી હતી. અમીર હમઝાએ ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં ભૂમિકા ભજવી છે. 2018માં, હમઝાએ પોતાનું સંગઠન પણ સ્થાપ્યું, જેનું નામ જૈશ એ મનકાફા હતું.
66 વર્ષીય હમઝાનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરામાં થયો હતો. હમઝાએ મદરેસામાંથી ‘આલીમ’ની ડીગ્રી મેળવી હતી, ત્યારબાદ તે હાફિઝ સઈદની સાથે મળીને આતંકવાદના માર્ગે આગળ વધ્યો હતો. એક સમયે, આતંકવાદી અમીર હમઝા લશ્કર-એ-તૈયબામાં “નંબર 2” વ્યક્તિનું સ્થાન ધરાવતો હતો. હમઝાની મુખ્ય ભૂમિકા તેના ઉગ્ર ભાષણો દ્વારા આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવાનો હતો. 2012માં, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી દ્વારા હમઝાને સત્તાવાર રીતે આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, તેને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખતરા તરીકે ઓળખવામાં આવ્યો હતો.
હમઝા વિશે વિગતવાર માહિતી હજુ પણ બહુ ઉપલબ્ધ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તેણે સૌપ્રથમ 1979 માં આતંકવાદનો માર્ગ અપનાવ્યો હતો. તે સમયે, હમઝા સોવિયેત યુનિયન સામેની લડાઈમાં અફઘાન લડવૈયાઓ સાથે જોડાયો હતો. સોવિયેત સાથેનો સંઘર્ષ સમાપ્ત થયા પછી, હમઝાને જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
2018 માં, નાણાકીય બાબતોને કારણે હમઝાને હાફિઝ સઈદ સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ત્યારથી, તે એકલો જ કામ કરી રહ્યો છે. હમઝાએ આતંકવાદ પર ઓછામાં ઓછા આઠ પુસ્તકો લખ્યા છે. જેમાંથી મોટાભાગના લશ્કર-એ-તૈયબાની પ્રકાશન શાખા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.
Published On - 1:51 pm, Thu, 16 April 26