ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધના પગલે,ભારે ઈંધણ સંકટમાં ફસાયેલ પાકિસ્તાન પાસે એટલા રૂપિયા પણ નથી કે, 23 માર્ચે પ્રજાસત્તાક દિવસની પરેડ યોજે. શરીફ સરકારે જણાવ્યું છે કે, દેશમાં ચાલી રહેલા ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ નહીં યોજવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1940માં ઐતિહાસિક લાહોર ઠરાવ અને 1956માં પાકિસ્તાનના પ્રથમ બંધારણને અપનાવવાની યાદમાં પાકિસ્તાન, દર વર્ષે 23 માર્ચે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે.
પાકિસ્તાને, આગામી 23 માર્ચે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસ માટે યોજાનારી લશ્કરી પરેડ અને તેની સાથે સંકળાયેલા સમારોહને રદ કરી નાખ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલયે જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી રદ કરવાનો નિર્ણય, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે, ગલ્ફમાં સર્જાયેલ ઓઇલ કટોકટી અને ખર્ચ ઘટાડવા માટે સરકારે અપનાવેલા કરકસરભર્યા પગલાંના પ્રતિભાવમાં લેવામાં આવ્યો છે. 23 માર્ચને પાકિસ્તાનના પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિર્ણય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે પાકિસ્તાનને ઈંધણ પુરવઠામાં વિક્ષેપને કારણે થયો છે. પાકિસ્તાન હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પરિણામે, દેશે પહેલાથી જ સરકારી ખર્ચમાં મોટા પાયે કાપ મૂક્યો છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સત્તાવાર X એકાઉન્ટ પર શેર કરાયેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, “રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ, વડા પ્રધાનની સલાહ પર અને ગલ્ફ વોરને પગલે સર્જાયેલ ઈંધણ કટોકટી અને કરકસરનાં પગલાંને ધ્યાનમાં રાખીને 23 માર્ચ, 2026 ના રોજ યોજાનારી પાકિસ્તાન દિવસ પરેડ અને તેની સાથે સંકળાયેલા કાર્યક્રમો રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.”
પાકિસ્તાનના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી રદ કરવાને એક ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે. આ દિવસે 1940 ના ઐતિહાસિક લાહોર ઠરાવ (જેને પાકિસ્તાન ઠરાવ તરીકે પણ ઓળખવામાં આવે છે) ની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઠરાવ દ્વારા જ મુસ્લિમો માટે અલગ ભારતથી રાષ્ટ્રની ઔપચારિક માંગણી કરવામાં આવી હતી. આ એ જ એક માંગ છે જે આખરે 1947 માં ભારતના ભાગલા તરફ દોરી ગઈ. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાના નવ વર્ષ પછી, 23 માર્ચ, 1956 ના રોજ, પાકિસ્તાનને પ્રથમ બંધારણને અપનાવ્યા પછી પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક જાહેર કરવામાં આવ્યું. આ પ્રસંગે, દર વર્ષે 23 માર્ચે મુખ્યત્વે ઇસ્લામાબાદમાં એક ભવ્ય લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવે છે.
ઈરાન ઈઝરાયેલ યુદ્ધને પગલે, મધ્ય પૂર્વમાં સર્જાયેલ ઈંધણની કટોકટીને કારણે પાકિસ્તાનમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પાકિસ્તાનની ઈંધણ કટોકટી વધુ ઘેરી બની છે. પરિણામે, પાકિસ્તા, આ સ્થિતિને નિવારવા માટે કડક પગલાં લેવાની ફરજ પડી છે. જે COVID-19 રોગચાળા દરમિયાન લાગુ કરાયેલા પ્રતિબંધોની યાદ પાકિસ્તાનીઓને અપાવે છે. પાકિસ્તાનમાં, “વર્ક ફ્રોમ હોમ” નીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વધુમાં, શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. સરકારી વાહનોની અવરજવર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ માટે વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ અને રાજકારણીઓના પગારમાં પણ ભારે કાપ મૂકવામાં આવ્યો છે.
Published On - 1:40 pm, Thu, 19 March 26