પાકિસ્તાનના (Pakistan) પેશાવરમાં શુક્રવારે એક મસ્જિદની (Peshawar Mosque Blast) અંદર જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે, લેડી રીડિંગ હોસ્પિટલમાં 30 મૃતદેહો લાવવામાં આવ્યા છે. આ ઘટના કોચા રિસાલદાર વિસ્તારની છે.
સીસીપીઓએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો અનુસાર, બે હુમલાખોરોએ શહેરના કિસ્સા ખ્વાની બજારમાં એક મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાં સુરક્ષા કરી રહેલા પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ છે. સીસીપીઓએ કહ્યું કે, હુમલા બાદ મસ્જિદમાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા અને જોરદાર વિસ્ફોટ થયો. ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
At least 30 killed and over 50 injured in blast at a mosque during Friday prayers in Peshawar, #Pakistan. pic.twitter.com/JIcOrswPGR
— Ahmer Khan (@ahmermkhan) March 4, 2022
પોલીસ અધિકારી વાહીદ ખાને એપીને જણાવ્યું કે, કોચા રિસાલદાર મસ્જિદમાં લોકો નમાજ પઢવા માટે એકઠા થયા ત્યારે વિસ્ફોટ થયો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પ્રત્યક્ષદર્શીઓમાંથી એક શયાન હૈદર પણ મસ્જિદમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે તે રોડ પર પડી ગયો હતો. તેણે કહ્યું, ‘મેં મારી આંખ ખોલી તો દરેક જગ્યાએ ધૂળ અને મૃતદેહો વિખરાયેલા હતા.’ પેશાવરના સીસીપીઓના એકાઉન્ટ અનુસાર, ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પરંતુ વિસ્ફોટ કયા પ્રકારનો હતો તે કહેવું ખૂબ જ વહેલું છે.
લેડી રીડિંગ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા ઘાયલ લોકોને ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટે ડૉક્ટરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે, હોસ્પિટલને રેડ એલર્ટ પર મૂકવામાં આવી છે અને વધુ તબીબી કર્મચારીઓને LRHમાં બોલાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ઘણીબધી બજારો છે અને શુક્રવારની નમાજ દરમિયાન ઘણી ભીડ હોય છે. વડા પ્રધાન ઇમરાન ખાને હુમલાની સખત નિંદા કરી અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાયનો નિર્દેશ આપ્યા છે.
Published On - 3:20 pm, Fri, 4 March 22