Buddha Temple Found in Pakistan: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પાકિસ્તાની અને ઈટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમ દ્વારા 2,300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર શોધી કાઢવામાં આવ્યું છે. આ સાથે ખોદકામમાં અન્ય કેટલીક કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી છે. આ મંદિર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના (Khyber Pakhtunkhwa Province) સ્વાત જિલ્લાના બારીકોટ તાલુકામાં બૌદ્ધ કાળના બાજીરા શહેરમાં જોવા મળ્યું છે. આ મંદિરને પાકિસ્તાનમાં બૌદ્ધ કાળનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે.
આ સંબંધમાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘પાકિસ્તાન અને ઈટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક સ્થળ પર સંયુક્ત ખોદકામ દરમિયાન 2,300 વર્ષ જૂનું બૌદ્ધ કાળનું મંદિર શોધી કાઢ્યું છે. આ સિવાય અન્ય મૂલ્યવાન કલાકૃતિઓ પણ મળી આવી છે. સ્વાતમાં મળેલું આ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં જૂનું છે.
મંદિર ઉપરાંત, પુરાતત્વવિદોએ 2,700થી વધુ અન્ય બૌદ્ધ કલાકૃતિઓ પણ મેળવી છે, જેમાં સિક્કા, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મિનાંદરના સમયથી ખરોષ્ઠી ભાષામાં લખેલી સામગ્રીનો સમાવેશ થાય છે. ઇટાલિયન નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સ્વાત જિલ્લાના ઐતિહાસિક શહેર બાજીરા (Temples in Pakistan)માં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળો મળી શકે છે. પાકિસ્તાનમાં ઇટાલિયન રાજદૂત આન્દ્રે ફેરારિસે પત્રકારોને જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પુરાતત્વીય સ્થળો વિશ્વના વિવિધ ધર્મો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વર્ષ 2020ની શરૂઆતમાં, પાકિસ્તાનમાં પુરાતત્વવિદોને ખોદકામમાં વિષ્ણુ મંદિર પરિસરના અવશેષો મળ્યા હતા. આ શોધ પણ અહીં સ્વાત વિસ્તારમાં જ થઈ હતી. આ અવશેષો દર્શાવે છે કે, અહીં ઓછામાં ઓછું 1000 વર્ષ જૂનું હિંદુ મંદિર હતું. આ મંદિરની શોધ પાકિસ્તાન અને ઈટાલીના પુરાતત્વવિદોએ પણ કરી હતી. આ મંદિર બરીકોટ ઘુંડાઈની ટેકરીઓ વચ્ચે ખોદકામ સમયે મળી આવ્યું હતું. તે સમયે ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્વ વિભાગના ફઝલે ખલીકે કહ્યું હતું કે, આ મંદિર ભગવાન વિષ્ણુનું છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મંદિરનું નિર્માણ હિંદુ શાહી સમયગાળા દરમિયાન થયું હતું.
આ પણ વાંચો: Bank of Baroda Recuirtment 2021: આ બેંકમાં ડેવલપર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: UPSC NDA NA Result: UPSC NDA લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર, અહીં કરો ડાઉનલોડ