
માનવ શરીરના કેટલાક ભાગોની સફાઈ પર આપણે ખાસ ધ્યાન આપતા નથી, પરંતુ એ જ ભાગોમાં સૌથી વધુ જંતુઓ વસતા હોય છે. ખાસ કરીને પગના નખ એ એવો ભાગ છે જેને લોકો ઘણીવાર અવગણે છે. ઘણા લોકો ચહેરો, હાથ અને વાળની સફાઈ તો નિયમિત રીતે કરે છે, પરંતુ પગના નખની યોગ્ય કાળજી લેતા નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી જૂતા અને મોજાં પહેરવાના કારણે પગમાં પરસેવો અને ભેજ એકઠા થાય છે. આ ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને ફૂગને ઝડપથી વધવા માટે અનુકૂળ બની જાય છે. પરિણામે, પગના નખમાં ગંદકી, મૃત ત્વચા અને હજારો જંતુઓ એકઠા થઈ શકે છે. કેટલાક અભ્યાસો અનુસાર, ગંદા નખમાં ટોયલેટ સીટ કરતાં પણ અનેકગણા વધુ જંતુઓ હોઈ શકે છે.
આ જંતુઓ માત્ર દુર્ગંધ જ નહીં, પરંતુ ચેપ અને ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જો સમયસર સફાઈ ન કરવામાં આવે, તો નખમાં ફંગલ ઈન્ફેક્શન, ખંજવાળ અને અન્ય ગંભીર સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.
ડૉ. ઇમરાન પટેલના જણાવ્યા પ્રમાણે, બાળકોના નખની સફાઈ પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. બાળકો રમતાં રમતાં ઘણી વસ્તુઓને સ્પર્શ કરે છે અને પછી હાથ મોંમાં મૂકી દેતા હોય છે. આવી સ્થિતિમાં ગંદા નખમાં રહેલા જંતુઓ શરીરમાં જઈ શકે છે અને ચેપ ફેલાવી શકે છે. તેથી બાળકોના નખને નિયમિત રીતે કાપવા અને સાફ રાખવા જરૂરી છે.
પગના નખની સફાઈ માટે ફક્ત નખ કાપવા પૂરતું નથી. સૌથી પહેલા પગને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ નરમ બ્રશ અથવા નેઇલ બ્રશની મદદથી નખની અંદર ફસાયેલી ગંદકી દૂર કરો. સફાઈ કર્યા પછી પગ અને ખાસ કરીને અંગૂઠા વચ્ચેની જગ્યાને સારી રીતે સૂકવી લેવી જોઈએ, કારણ કે ભેજ ફૂગને વધવા માટે મદદરૂપ બને છે.
નિયમિત સફાઈ અને યોગ્ય કાળજી દ્વારા પગના નખને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકાય છે. નાના લાગતા આ ભાગની અવગણના ક્યારેક મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
તરબૂચ ખાતા પહેલા અને પછી કઈ ભૂલો ટાળવી? તમે તો નથી કરતાને આવી ભૂલો