શિયાળાની ઋતુ એટલે વસાણાની ઋતુ. ઘરઘરમાં અલગ અલગ પ્રકારના વસાણાં બનતા હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના લાડવા પણ બનતા હોય છે. શિયાળામાં લાડુનું જમણ ગુણકારી રહે છે. અલગ પ્રકારના લાડુથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. ચાલો જાણીએ કયા લાડુ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.
તલના લાડુ
ગોળ અને ઘીથી બનાવવામાં આવતા આ લાડવાની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે. એનર્જીથી ભરપુર તલના લાડવાથી ડિપ્રેશન અને ટેન્શનમાં રાહત મળે છે. તલ ફેફસાં અને શરીરને ડિટોક્ષ કરે છે તેમજ તેમાં રહેલા કેલ્શિયમના કારણે હાડકા મજબૂત બને છે.
ગુંદરના લાડુ
શિયાળામાં શરદી અને તાવની સમસ્યા રહેતી હોય તો ગુંદના લાડવા ખાવા જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. પ્રેગનન્સી બાદ આવેલી કમજોરીમાં પણ આ લાડવા ફાયદાકારક છે.
ખજૂરના લાડુ
શિયાળામાં ખજૂરના લાડુ ખાવાથી શરીરને ગરમીની સાથે એનર્જી મળે છે. ખજૂરમાંથી પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, બોરોન, કોબાલ્ટ, કોપર, ફ્લોરિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ અને ઝીંક મળે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે. ખજૂરના લાડુનું નિયમિત સેવન કોલેસ્ટરોલ તેમજ વજન ઉતારવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુટોઝ દિવસભર તમારા શરીરમાં તાજગી જાળવી રાખે છે.
મેથીના લાડુ
મેથીના દાણામાં એન્ટીઓક્સિડેન્ટનો ગુણ હોય છે. જે ફ્લૂ અને શરદી સામે રક્ષણ પૂરું પાડે છે. મેથીના લાડુના સેવનથી સાંધાનો દુખાવો અને બળતરા ઘટાડવા માટે અકસીર છે. મેથીમાં પોલિફેનોલિક ફ્લેવોનોઇડ્સ હોય છે જે કિડનીને વધુ સક્ષમ બનાવે છે. તેમજ દરરોજ મેથીના લાડુના સેવનથી પીરિયડના દુખાવામાં રાહત મળે છે. ડિલિવરી પછી મહિલાઓને નબળાઇ, શરીરમાં દુખાવાની સમસ્યામાં મેથીના લાડુ ખાવાની સલાહ આપવામાં આવે છે.