Health Tips : કાયમી શરદીથી છુટકારો મેળવવો છે ? આ ઘરેલુ ઉપચાર કરી શકે છે મોટી મદદ
શ્વસનતંત્રને લગતા રોગોમાં સૌથી વધારે પ્રમાણમાં લોકોને હેરાન કરતી કોઈ બીમારી છે તો તે છે શરદી (Cold). સૌથી વધારે પરેશાન અને ત્રાસ આપતા રોગોમાં શરદીનું સ્થાન આગળ પડતું છે.

Health Tips : શ્વસનતંત્રને લગતા રોગોમાં સૌથી વધારે પ્રમાણમાં લોકોને હેરાન કરતી કોઈ બીમારી છે તો તે છે શરદી (Cold). સૌથી વધારે પરેશાન અને ત્રાસ આપતા રોગોમાં શરદીનું સ્થાન આગળ પડતું છે. શરદીનો રોગ સૌથી સામાન્ય છે. પણ તે જ્યારે થાય ત્યારે દર્દીને હેરાન પરેશાન અને આકુળવ્યાકુળ બનાવી દે છે.
શરદી થવા પાછળના કારણોમાં ભેજ, પ્રદૂષણ, આહારની વિષમતા, અધિક પરિશ્રમ, ઉજાગરો, ટેન્શન, પાણીથી કે વરસાદથી પલળવું, ઠંડી હવામાં સૂવું, મધ, તમાકુની ટેવ તથા છીંક, બગાસુ જેવા શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી પણ આ શરદીને આમંત્રણ મળે છે. ઠંડી ચીજોનો વધારે પડતો ઉપયોગ કે સેવન પણ શરદીને વધારે છે.
શરદીના પૂર્વ લક્ષણોમાં બેચેની, પીડા અને થોડો તાવ પણ આવે છે. ત્યાર પછી નાકમાં પાણી નિતરવા લાગે છે અને છીંકનું પ્રમાણ વધી જાય છે. આ સાથે ઘણા દર્દીઓને ઉધરસથી કાનમાં ધાક પડવી, થોડો શ્વાસ અવરોધ થવો પણ થાય છે.
આમ તો શરદી બહુ સામાન્ય છે અને તે દરેક કોઈને થાય જ છે. પરંતુ જો તે વધી જાય તો ઉધરસ પણ ઉત્પન્ન કરે છે. એટલા માટે આ રોગમાં તરત સારવાર કરવી જ હિતાવહ છે. શરદીની સારવારમાં આરામ અને પેટની શુદ્ધિ ખૂબ અગત્યના છે.
જો શરદીની શરૂઆતમાં જ હળદર અને સૂંઠ નાખેલું દૂધ સવારે અને રાત્રે લેવામાં આવે અથવા ત્રિફળાચૂર્ણથી પેટ સાફ કરવામાં તો શરદી ચાર પાંચ દિવસમાં મટી જાય છે. શરદી વખતે જો નાકમાં ખૂબ સળવળાટ થતો હોય તો નાકમાં ચાર-પાંચ ટીપાં ષદબિંદુ તેલના નાંખવા જોઈએ. જો તે પણ ન મળે તો લવગાંદી તેલ સૂંઘવું જોઈએ. જો વરસાદના ભેજથી કે પલળવાથી શરદી થઇ હોય તો સૂંઠ, લવિંગ, તુલસી, કાળા મરી અને દાલચીની નાખીને બનાવેલી ચા દિવસમાં ત્રણવાર પીવાથી મટી જાય છે.
સૂંઠ, મરી અને દાલચીની આ ત્રણે ઔષધિ પણ શરદીમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. ત્રણેય ઔષધિઓને સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી રાખવી. સાથે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ બેથી ત્રણ ચમચી મધ સાથે સવારે અને રાત્રે લેવાથી શરદી મટી જાય છે.
શરદી વખતે માથું દુઃખવાની સમસ્યા પણ વધી જાય છે અને શરદીમાં જો માથું ખુબ જ દુખતું હોય તો જાયફળને થોડું પાણીમાં ઘસી લેવું જોઈએ. બાદમાં તેને મધ સાથે લેવામાં આવે તો તરત આરામ થાય છે. તેનો ઉકાળો બનાવી સવારે અને રાત્રે પીવું જોઈએ. કપૂરની પોટલી અથવા નીલગીરી તેલની પોટલી સૂંઘવાથી આરામ થાય છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)