મોબાઈલનો વધારે સમય સુધી ઉપયોગ કરવાથી આંખો પર શું અસર પડે છે? જાણો નિષ્ણાતોની સલાહ

સ્માર્ટફોનનો વધતો ઉપયોગ આંખોના સ્વાસ્થ્ય માટે પડકાર બની રહ્યો છે, અને નિષ્ણાતો સમયસર સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

મોબાઈલનો વધારે સમય સુધી ઉપયોગ કરવાથી આંખો પર શું અસર પડે છે? જાણો નિષ્ણાતોની સલાહ
Image Credit source: social media
| Updated on: Mar 11, 2026 | 12:00 PM

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કામ, અભ્યાસ, મનોરંજન અને સોશિયલ મીડિયા માટે લોકો લાંબા સમય સુધી મોબાઈલ સ્ક્રીન સામે રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ક્રીન સમય નોંધપાત્ર રીતે વધ્યો છે, જેના કારણે આંખોના સ્વાસ્થ્ય પર તેની અસર અંગે ચર્ચા વધી રહી છે. ખાસ કરીને કોરોના પછી ઓનલાઇન કામ અને ઓનલાઇન અભ્યાસ વધતા લોકોમાં મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધી ગયો છે. જેના કારણે ઘણીવાર લોકો દિવસનો મોટો ભાગ સ્ક્રીન સામે જ પસાર કરે છે, જે આંખો માટે ધીમે ધીમે નુકસાનકારક બની શકે છે.

આંખો પર પડતી અસર

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી મોબાઈલ અથવા કમ્પ્યુટર સ્ક્રીન જોવાથી આંખોમાં થાક, સૂકાપો અને ધૂંધળું દેખાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણી વખત લોકો માથાનો દુખાવો અથવા આંખોમાં બળતરા જેવી ફરિયાદ પણ કરે છે. આ સ્થિતિને સામાન્ય રીતે “ડિજિટલ આઈ સ્ટ્રેન” તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કેસોમાં આંખોમાં પાણી આવવું, પ્રકાશ સામે સંવેદનશીલતા વધવી અને આંખો ભારે લાગવી જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે તો આંખના ડોકટરોની સલાહ લેવી જરૂરી બને છે.

યુવાનોમાં વધતી સમસ્યા

ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધુ હોવાથી આ સમસ્યા વધુ જોવા મળે છે. ઓનલાઇન ક્લાસ, સોશિયલ મીડિયા અને ગેમિંગના કારણે ઘણા લોકો દિવસના ઘણા કલાકો સ્ક્રીન સામે વિતાવે છે. જેના કારણે આંખોને પૂરતો આરામ મળતો નથી. વિશેષજ્ઞોના કહેવા મુજબ જો નાની ઉંમરથી જ વધુ સ્ક્રીન સમય રહે તો ભવિષ્યમાં આંખોની દ્રષ્ટિ પર પણ અસર પડી શકે છે. તેથી માતા-પિતાએ પણ બાળકોના મોબાઈલ ઉપયોગ પર ધ્યાન આપવું જરૂરી છે.

નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતો સલાહ આપે છે કે સ્ક્રીનનો સતત ઉપયોગ કરતા સમયે નિયમિત વિરામ લેવો જોઈએ. “20-20-20 નિયમ” અપનાવવાથી આંખોને આરામ મળે છે. એટલે કે દરેક 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂરની વસ્તુ જોવી જોઈએ. સાથે સાથે યોગ્ય લાઈટિંગ અને સ્ક્રીન બ્રાઈટનેસ રાખવી પણ જરૂરી છે. સાથે સાથે આંખોને ભેજ આપવા માટે વારંવાર પલકારાં મારવા, સ્ક્રીન થી યોગ્ય અંતર રાખવું અને જરૂરી હોય તો બ્લૂ લાઇટ ફિલટરનો ઉપયોગ કરવો પણ લાભદાયક માનવામાં આવે છે.

આ રીતે જોવામાં આવે તો સ્માર્ટફોનનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળી શકાય તેવું નથી, પરંતુ યોગ્ય સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. સ્ક્રીન સમય નિયંત્રિત રાખવાથી અને આંખોને આરામ આપવાથી આંખોના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં થોડો સમય સ્ક્રીન થી દૂર રહીને પ્રાકૃતિક પ્રકાશમાં સમય પસાર કરવો પૂરતી ઊંઘ લેવાથી પણ આંખોના સ્વાસ્થ્ય પર સકારત્મક અસર પડે છે.

નારંગીથી લઈને તરબૂચ અને દ્રાક્ષ સુધી… રસદાર, મીઠા ફળો કેવી રીતે ખરીદવા? ટિપ્સ જાણવા અહી ક્લિક કરો.