
મિડનાઇટમાં ક્યારેક ભૂખ લાગે તો આ સામાન્ય વાત છે. પરંતુ જો દરરોજ તમને મિડનાઇટ ભૂખ લાગે તો તેનું કારણ મોડીરાત સુધી જાગવું પણ હોઈ શકે છે. આજકાલ ઘણા લોકો કામ કે મોબાઇલ વાપરવાના કારણે મોડીરાત સુધી જાગતા હોય છે. જેના કારણે આ સમસ્યા વધે છે. ડાયેટિશિયનના મતે, આ સમયે ભારે ખોરાક લેવો સ્વાસ્થ માટે યોગ્ય નથી. ચિપ્સ, કુકીઝ કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ જેવા હલકા સ્નેક્સ પણ શરીર માટે અનહેલ્ધી હોય છે.
જ્યારે તમને મિડનાઇટમાં ભૂખ લાગે છે, ત્યારે તમે ઘણીવાર કંઈક ઝડપી ખાવાની ઇચ્છા રાખો છો. પરિણામે લોકો પ્રોસેસ્ડ ફૂડ અથવા ઓનલાઈન ખોરાકનો ઓર્ડર આપે છે. પરંતુ આ ખોરાક સ્વાસ્થને નુકસાન પહોંચાડી શકે છે અને ઊંઘ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
ડાયેટિશિયનના મુજબ, મિડનાઇટમાં ભૂખ લાગે ત્યારે તળેલું અને ભારે ખોરાક ખાવો ટાળવો જોઈએ. જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી એસિડિટી, કબજિયાત અને અસ્વસ્થતા જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ આ પ્રકારના ખોરાકમાં મીઠું વધુ હોય છે, જેના કારણે વારંવાર ઊંઘમાં ખલેલ પડી શકે છે. વધુ મીઠાઈ ખાવાથી બ્લડ શુગર પણ વધી શકે છે.
ડાયેટિશિયનના મુજબ, મિડનાઇટમાં જો ભૂખ લાગે તો હૂંફાળું દૂધ પીવું એ એક સારો વિકલ્પ છે. ઉપરાંત બદામ અને અખરોટ જેવા નટ્સ ખાઈ શકાય છે. કેળા અને ઓટ્સને પણ સારા વિકલ્પ માનવામાં આવે છે. આ ખોરાકમાં મેગ્નેશિયમ હોય છે. જે શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં પણ મદદ કરે છે.
ડાયેટિશિયનના મતે, મોડી રાત્રે ભૂખ લાગે ત્યારે પ્રોટીન અને ફાઈબર યુક્ત હળવો ખોરાક લેવો જોઈએ. જે પેટ ભરેલું રાખે છે. પ્રોટીન અને ફાઈબર યુક્ત ખોરાક પાચનમાં સરળ હોય છે. મખાના, ફળો, શેકેલા ચણા જેવા હળવા અને હેલ્ધી સુપરફૂડ ખાવા જોઈએ. હળદર વાળું દૂધ પીવાથી ઊંઘમાં સુધારો થાય છે.