
આજકાલ ફિટનેસ અને હેલ્ધી લાઇફસ્ટાઇલના નામે લોકો તાંબાની બોટલ અથવા વાસણોનો ઉપયોગ મોટા પ્રમાણ પર કરી રહ્યા છે. ઘણા લોકો આખો દિવસ તાંબાની બોટલમાંથી જ પાણી પીતા હોય છે, તો વળી કેટલાક લોકો રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને સવારે ખાલી પેટે પીવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આનાથી પાચનક્રિયા સુધરે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર ડિટોક્સ થાય છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે આ બોટલનો ખોટો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં તાંબાનું પ્રમાણ જરૂર કરતાં વધી જવાથી લીવર અને કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
ન્યુટ્રિશનિસ્ટ્સ અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, કેટલાક લોકો વજન ઘટાડવા અથવા સ્વાદ માટે તાંબાની બોટલમાં રાખેલા પાણીમાં લીંબુનો રસ અથવા મધ ઉમેરીને પીવે છે. આ સૌથી ખતરનાક ભૂલ છે. લીંબુમાં રહેલું એસિડ તાંબા (કોપર) સાથે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા (રિએક્શન) કરે છે. આ કેમિકલ રિએક્શનના કારણે પાણી ઝેરી બની જાય છે, જેને પીવાથી ઉલ્ટી, ચક્કર આવવા અને પેટમાં અસહ્ય દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે તાંબાના વાસણનું પાણી ઔષધિ સમાન છે, તેને સામાન્ય પાણીની જેમ આખો દિવસ ન પીવું જોઈએ. જો તમે આખો દિવસ માત્ર તાંબાની બોટલનું જ પાણી પીશો, તો શરીરમાં કોપરનું સ્તર જોખમી રીતે વધી જશે. તેનાથી ઉબકા આવવા, લીવર પર સોજો આવવો અને પેટમાં ગંભીર ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
જો તમારે તાંબાની બોટલના પાણીનો અસલી ફાયદો મેળવવો હોય, તો આખો દિવસ આ પાણી પીવાના બદલે માત્ર રાત્રે જ તેમાં પાણી સ્ટોર કરીને રાખો. ચોવીસ કલાકમાં માત્ર 250 થી 500 મિલીલીટર (એક થી બે ગ્લાસ) તાંબાનું પાણી પીવું આપણા શરીર માટે પૂરતું અને સલામત છે. બાકીના સમયમાં સામાન્ય વાસણનું પાણી જ પીવું જોઈએ.
તાંબાની બોટલમાં પાણી હંમેશા સામાન્ય તાપમાન (રૂમ ટેમ્પરેચર) પર જ રાખવું જોઈએ. આ બોટલમાં ક્યારેય પણ ફ્રિજનું એકદમ ઠંડુ પાણી અથવા ઉકળતું ગરમ પાણી ન ભરવું જોઈએ. તાપમાનમાં આવતો મોટો બદલાવ તાંબાના કુદરતી ગુણોને નષ્ટ કરે છે અને ધાતુ ઓગળીને પાણીમાં ભળવાનું જોખમ વધારે છે.
કોઈપણ વસ્તુનો અતિરેક નુકસાનકારક નીવડે છે, પછી ભલે તે સ્વાસ્થ્યપ્રદ આદત કેમ ન હોય. હવે જોવાનું એ રહેશે કે આ નવો ખુલાસો સામે આવ્યા પછી લોકો તાંબાની બોટલનો ઉપયોગ કરવામાં કેટલી સાવધાની રાખે છે.