વર્ષ 2018માં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના આજે કરોડો ભારતીયો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. ગંભીર બીમારીઓ વખતે 5 લાખ રૂપિયાથી વધારી ને 10 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ આપતી આ સરકારી યોજના હવે દિલ્હી સહિત દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. જોકે, ઘણા લોકો એ ભ્રમમાં હોય છે કે આ કાર્ડથી તમામ પ્રકારની સારવાર મફત મળે છે. વાસ્તવમાં, કેટલીક એવી સેવાઓ અને બીમારીઓ છે જે આ યોજનાના દાયરામાં આવતી નથી.
આ સેવાઓ માટે નહીં મળે કાર્ડનો લાભ:
- OPD અને સામાન્ય તપાસ: જો તમારે હોસ્પિટલમાં દાખલ થયા વગર માત્ર ડોક્ટરની સલાહ લેવી હોય, રૂટિન ચેકઅપ કરાવવું હોય કે લેબોરેટરી ટેસ્ટ કરાવવા હોય, તો તેનો ખર્ચ આ યોજનામાં કવર થતો નથી.
- દાંતની સામાન્ય સારવાર: દાંત કઢાવવા, રૂટ કેનાલ (RCT), કેવિટી ફિલિંગ કે દાંત બેસાડવા (Implant) જેવી સામાન્ય પ્રક્રિયાઓ આમાં સામેલ નથી. જોકે, અકસ્માત કે ટ્યુમરના કિસ્સામાં સર્જરીની જરૂર પડે તો લાભ મળી શકે છે.
- કોસ્મેટિક સર્જરી: સુંદરતા વધારવા માટે કરવામાં આવતી પ્લાસ્ટિક સર્જરી, ટેટૂ રિમૂવલ, નાકની સર્જરી (Rhinoplasty) કે એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ માટે આયુષ્માન કાર્ડ ચાલતું નથી.
- ની:સંતાનપણું (Infertility) ની સારવાર: IVF અથવા સંતાન પ્રાપ્તિ માટેની અન્ય આધુનિક ટેકનિકોનો ખર્ચ આ યોજના હેઠળ મળતો નથી.
- બિન-જરૂરી રસીકરણ: નેશનલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં સામેલ ન હોય તેવી ખાનગી રસીઓ (Vaccines) નો ખર્ચ ગ્રાહકે જાતે ભોગવવો પડે છે.
- માત્ર નિરીક્ષણ માટે દાખલ થવું: જો કોઈ ગંભીર બીમારી ન હોય અને દર્દીને માત્ર ઓબ્ઝર્વેશન કે રિપોર્ટ્સ કરાવવા માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે, તો તે ખર્ચ ક્લેમ કરી શકાતો નથી.
- વિટામીન અને સપ્લીમેન્ટ્સ: સામાન્ય ટોનિક, વિટામીનની ગોળીઓ કે સપ્લીમેન્ટ્સનો ખર્ચ યોજનામાં આવતો નથી, સિવાય કે તે કોઈ ગંભીર સારવારનો મુખ્ય ભાગ હોય.
- લાઇફ સપોર્ટ (Vegetative State): એવા દર્દીઓ જે લાંબા સમયથી કોમામાં અથવા લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને રિકવરીની શક્યતા નહિવત છે, તેમને આ યોજનામાં કવર કરવામાં આવતા નથી.
શા માટે આ સારવાર બાકાત રાખવામાં આવી?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોને એવી ગંભીર બીમારીઓના જંગી ખર્ચથી બચાવવાનો છે જેમાં હોસ્પિટલમાં દાખલ થવું અનિવાર્ય હોય. સામાન્ય કે વૈકલ્પિક સારવારને બાકાત રાખીને સરકાર સંસાધનોનો ઉપયોગ ગંભીર ઓપરેશન્સ અને કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓ પાછળ કરવા માંગે છે.
જો તમારી સારવાર યોજનામાં ન હોય તો શું કરવું?
સૌ પ્રથમ હોસ્પિટલમાં ‘આયુષ્માન મિત્ર’નો સંપર્ક કરો અને જાણો કે તમારી બીમારી અન્ય કોઈ પેકેજમાં સામેલ છે કે નહીં. જો ન હોય, તો સરકારી હોસ્પિટલોમાં રાહત દરે સારવાર મેળવવા અથવા અન્ય સરકારી સહાય યોજનાઓ તપાસવા સલાહ છે.
ક્રૂડ આઈલ, ગેસ, વ્યાપાર અને હવે યુદ્ધની જ્વાળા ‘ડેટા સેન્ટરો’ સુધી પહોંચી, ભારતને ગ્લોબલ ક્લાઉડ હબ તરીકે મળશે તક !, વાંચવા માટે અહીં ક્લિક કરો