TEA IN PAPER CUP : આજકાલ ઘણી જગ્યાએ ચાની કીટલી પર ચાના રસિયાઓ ડિસ્પોઝેબલ પેપર કપમાં ચાની ચુસ્કી લેતા નજરે પડશે. આ ડિસ્પોઝેબલ પેપર કપ આવવાથી ચાની કીટલી વાળાઓને મોટી રાહત થઈ છે. કારણ કે ડિસ્પોઝેબલ પેપર કપથી તેમણે ઘણી બધી રીતે ફાયદો થઈ રહ્યો છે. પણ શું તમે જાણો છો કે આ ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવાથી તમારા શરીરને કેટલું નુકસાન થાય છે? આ અંગે કરવામાં આવેલા વિવિધ સંશોધનમાં ચોંકવાનારી વિગતો સામે આવી છે.
પેપર કપમાં હાઇડ્રોફોબિક પ્લાસ્ટિક ફિલ્મ
હાલમાં જ આઈઆઈટી ખડગપૂરે એક અભ્યાસ કર્યો છે જેમાં ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવાથી થતાં નુકસાન અંગે તારણો કાઢવામાં આવ્યા છે. આ અભ્યાસ સાથે જોડાયેલા આઈઆઈટી ખડગપૂરના આસોસીએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું કે ડિસ્પોઝેબલ પેપર કપ બનાવવામાં હાઇડ્રોફોબિક પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક ફિલ્મ ડિસ્પોઝેબલ પેપર કપના તરલ પદાર્થને બહાર નિકળતા રોકે છે. પણ ડિસ્પોઝેબલ કપમાં ચા કે અન્ય ગરમ પ્રવાહી ભરવામાં આવતા આ પ્લાસ્ટિક ફિલ્મ ઓગળે છે અને તેના સૂક્ષ્મ કણો ચા સાથે શરીરમાં પ્રવેશ કરે છે.
પેપર કપ કેટલો નુકસાનકારક ?
હાલમાં જ એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે કોઈ વ્યક્તિ એક દિવસમાં ત્રણ વાર ડિસ્પોઝેબલ પેપર કપમાં ચા પીવે તો તેના કશરીમાં પ્લાસ્ટિકના 75,000 સૂક્ષ્મ કણો પ્રવેશ કરે છે. આ પ્લાસ્ટિક કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે સામાન્ય રીતે આંખથી જોઈ પણ શકાતા નથી. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોમાં પેલેડિયમ, ક્રોમિયમ, કેડમિયમ જેવી અતિ ઝેરીલી ધાતુઓ હોય છે. માનવ શરીરમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો રક્ત કોશિકાઓના સંપર્કમાં આવતા રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે જેનાથી રક્ત કોશિકાઓ મૃત થતી જાય છે અને અને આ ક્રમ શરૂ રહે છે. રક્ત કોશિકાઓ મૃત થવાથી શરીરમાં લોહીના પરિભ્રમણ પર અસર પડે છે.
( વૈધાનિક ચેતવણી : આ લેખ માત્ર જાણકારી માટે છે. વાચકોએ પોતાની વિવેકબુદ્ધિ અનુસાર નિર્ણય કરવો. )