RAJKOT : રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બે દિવસથી આર કે બિલ્ડર ગ્રુપને ત્યાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.આર.કે ગ્રુપ રાજકોટનું નામાંકિત બિલ્ડર ગ્રુપ છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આર.કે ગ્રુપની 8 જેટલી બાંધકામ સાઇટ ચાલી રહી છે.આર.કે ગ્રુપની સાથે ગંગદેવ ગ્રુપ,અનંત ગ્રુપને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે અને તપાસ કરવામાં આવી છે. આ સાથે આર કે ગ્રુપ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં અલગ અલગ 30 જેટલા સ્થળોએ ઇન્કમટેક્સ વિભાગના 300 જેટલા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવો જાણીએ કોણ છે આ આર.કે. ગ્રુપ અને કેવો છે તેનો કારોબાર.
જાણો આર.કે. ગ્રુપ વિશે
આરકે ગ્રુપના માલિક સર્વાનંદ સોનવાણી અને કમલ સોનવાણી છે. જગદિશ સોનવાણી સહિત 6 ભાઇઓ છે. આર કે ગ્રુપ ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા છે. દાણાપીઠમાં RK ફાયનાન્સ પેઢી આવેલી છે. અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ છે. RK ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. કુવાડવા રોડ પર 1 થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર કર્યા છે. અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા છે. પહેલા જમીન, મકાન અને પ્લોટીંગનું કામ કરતા હતા. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી બિલ્ડીંગ તૈયાર કરે છે. મોટાભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે.જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સની રડારમાં આર.કે. ગ્રુપ
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આર.કે ગ્રુપ આઈટીના સર્વેલન્સમાં હતું. આર.કે. ગ્રુપ અનેક રોકડ અને બેનામી હિસાબો પર ઈ ન્કમટેક્સ વિભાગની વોચ હતી. જે સ્થળોએ રોકડ અને દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા ત્યાં જ દરોડા પાડવામાં આવ્યા. બિલ્ડર અને તેના ભાગીદારોની પેઢીમાં દરોડા પહેલા એકાઉટન્ટન્ટોની ઓફિસોમાં દરોડા કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 4 કરોડ રોકડા, 6 જેટલા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ મિલ્કતો લે વેચ માટે કાચી ચિઠ્ઠીઓ કબ્જે કરાઇ છે.
છેલ્લા 20 દિવસમાં 150 કરોડના સોદા
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે આર.કે. ગ્રુપ છેલ્લા ઘણાં સમયથી આઇટીના નિશાના પર હતા.તેમાં પણ આ ગ્રુપ દ્વારા છેલ્લા 20 દિવસમાં માધાપર ચોકડી અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 150 કરોડની જમીનના સોદા કર્યા હતા, જેના કારણે આઇટીની નજરે ચડ્યાં હોવાનું માલૂમ પડ્યું છે.
બે દિવસ ચાલી શકે છે તપાસ
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન આર.કે ગ્રુપના સાથી બિલ્ડરોને ત્યાં તપાસ આગળ વધી શકે છે. સાથે સાથે આર.કે બિલ્ડીંગમાં રોકાણ કરનારને પણ નોટિસ મળી શકે છે જેથી આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.રોકાણકારો પર પણ કાર્યવાહી થઇ શકે છે. મોટું રોકાણ કરનાર સામે પણ આઇટી વિભાગ તપાસ કરી શકે છે.
Published On - 1:38 pm, Wed, 25 August 21