
ગુજરાતે “એનાલોગ પનીર” ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. છત્તીસગઢ, મહારાષ્ટ્ર બાદ એનાલોગ પનીરને પ્રતિબંધિત કરનાર ગુજરાત ત્રીજુ રાજ્ય બન્યું છે. જાહેર આરોગ્યની ચિંતાઓ અને પનીરના ભ્રામક વેચાણ અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તાજેતરમાં ચિંતા વધી રહી છે કે ઘણી હોટલો, રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનો ડેરી સિવાયનું પનીર પીરસી રહી છે, જ્યારે તેને અસલી ડેરી પનીર તરીકે રજૂ કરી રહી છે. જ્યારે ભારતના ખાદ્ય નિયમો હેઠળ એનાલોગ પનીરનું વેચાણ કાયદેસર છે – જો તે યોગ્ય રીતે લેબલ થયેલ હોય – નિષ્ણાતો ભાર મૂકે છે કે ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે અને તે નિયમિત પનીરથી કેવી રીતે અલગ છે તે જાણવાનો અધિકાર છે.
વધુ નફો કમાવવા માટે એનાલોગ પનીર એ અસલી પનીરના વિકલ્પ તરીકે હોટલ-રેસ્ટોરન્ટ અને પનીરના ઉત્પાદકોએ શોધી કાઢ્યો છે. એનાલોગ પનીર તાજા દૂધમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ વનસ્પતિ તેલ જેમ કે પામ તેલ, દૂધ પાવડર અથવા દૂધના ઘન પદાર્થો, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયર જેવા ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
તેનાથી વિપરીત, પરંપરાગત કે અસલી પનીર, દૂધમાં લીંબુના રસ અથવા સાઇટ્રિક એસિડ જેવા એસિડિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એનાલોગ પનીર, અસલી પનીર જેવુ જ દેખાય છે, તે સ્વાદમાં અસલી જેવું જ લાગે છે. જો કે, તે બનાવવામાં અસલી પનીરની સરખામણીએ ઘણો ઓછો ખર્ચ થાય છે. દેશમાં વર્તમાન ખાદ્ય નિયમો અનુસાર, જો એનાલોગ પનીરનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં કરવામાં આવ્યો હોય, તો પેકેજિંગમાં સ્પષ્ટપણે “એનાલોગ પનીર” અથવા “નોન ડેરી” લખેલું હોવું જોઈએ.