હાલ રાજયની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના(Students ) પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. જેમાં ધોરણ 1માં પ્રવેશ(Admission ) કરતા વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ (Aadhar Card )ફરજીયાત છે. બાળકોના વાલીઓએ તે માટે પોતાના સંતાનોના આધારકાર્ડ કઢાવી પણ લીધા હતા. પણ હવે શાળાઓ દ્વારા આધારકાર્ડ અપડેટ કરીને મંગાવવામાં આવી રહ્યા છે. જેના કારણે વાલીઓએ આધારકાર્ડના અપગ્રેડેશન માટે જવું પડી રહ્યું છે. વલસાડમાં વાલીઓને જિલ્લા પંચાયત રાજીવ ગાંધી સભાગૃહમાં ખાસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જ્યાં વાલીઓ બાળકોના આધાર કાર્ડ અપડેટેશન માટે આવી રહ્યા છે. પરંતુ રોજના ફક્ત 30 થી 60 જેટલા જ ફોર્મ ઇસ્યુ કરાઈ રહ્યા છે. જેના કારણે બાકીના અરજદારોએ લાઈનમાં ઉભા રહીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ સાથે જ કલેકટર કચેરી દ્વારા પણ નવા અધાર કાર્ડ માટે 26 જુલાઈ 2022ના રોજ ફોર્મ ઇસ્યુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી અરજદારોને દોઢ મહિના સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે બંને કેન્દ્રો પર રોજના 40 થી 50 કે ક્યારેક તો તેનાથી પણ વધારે સંખ્યામાં રજીસ્ટ્રેશન માટે અરજદારો આવતા હોય છે. પણ કલેકટર કેન્દ્રમાં વધારે અરજદારો આવવાથી એપોઇમેન્ટ ફૂલ થઇ જાય છે. અને બાકીના વાલીઓને નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે આધારકાર્ડ હવે દરેક કામો માટે જરૂરી બની ગયું છે.બેંકમાં ખાતા ખોલાવવાથી લઈને સરકારી યોજનાના લાભો લેવા માટે કે સરનામાં બદલવા જેવા કામો માટે હવે વલસાડમાં ફોર્મનું વિતરણ અને રજીસ્ટ્રેશન 46 દિવસ પછી થઇ શકવાનું હોવાથી લોકોના કામો ખોરંભે પડવાની ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
એક અરજદારે જણાવ્યું હતું કે શાળામાં બાળકનો પ્રવેશ લેવાનો છે, જેના માટે આધારકાર્ડ અપડેટ કરાવવાનો છે. પણ આ એક જ કામમાં સવારથી બપોર પડી જાય છે. છતાં કામના કોઈ ઠેકાણા રહેતા નથી. બીજા એક અરજદારોએ કહ્યું હતું કે અન્ય અરજદારોને 30 જેટલા ફોર્મ આપી દેવામાં આવ્યા છે. બાકીના અરજદારોને હવે બપોર પછી બોલાવ્યા છે. હાલ વ્યવસ્થા ખુબ ખરાબ છે, વહીવટી તંત્ર આ મુદ્દે કંઈ ધ્યાન આપે અને લોકોની ફરિયાદનું નિરાકરણ લાવે તે જરૂરી છે.