Monsoon 2022: ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં શરૂ થયો વરસાદ , દરિયાકાંઠે ગોઠવાયા બેરિકેડ, અધિકારીઓની રજા રદ
વલસાડ (Valsad)ના દરિયાકાંઠે ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારો તેમજ સ્થાનિકોને કે પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) આવનારા થોડા દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી શકે છે. વલસાડમાં (Valsad) વરસાદનો જોરદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠે ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને માછીમારો તેમજ સ્થાનિકોને કે પ્રવાસીઓને દરિયાકાંઠે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
વલસાડ જિલ્લા કલેકટરે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરી છે. ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં બીચ ઉપર 3 થી 4 મીટર ઊંચા દરિયાઈ મોજાં ઉછળવાની સંભાવના છે. જેથી માછીમારો તેમજ સ્થાનિક લોકોને દરિયાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન લોકો પણ મોટી સંખ્યામાં દરિયાકિનારે મજા માણવા માટે ઉમટી પડતાં હોય છે, પરંતુ બદલાયેલા વાતાવરણ અને ભરા પવન અને વરસાદની આગાહીને જોતા જિલ્લા કલેકટર તંત્ર એલર્ટ બન્યું છે, અને લોકોને દરિયાકાંઠે ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે દરિયાન વલસાડના વાપીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ જિલ્લામાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાતા લોકોને ગરમીથી રાહત મળી છે અને જિલ્લામાં વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તીથલના દરિયામાં નહીં જવા સહેલાણીઓને સૂચના
હરવા ફરવા માટે જાણીતા વલસાડના સુપ્રસિધ્ધ તીથલ બીચ ખાતે આ એલર્ટ ને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે અહી આવતા સહેલાણીઓ દરિયાના નજીક ન જાય તે માટે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 28 જૂન થી 1 જુલાઈ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેકટરે પણ પોતાના તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના અને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. તો તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારીનાં પગલાં લેવાં પણ સૂચના આપવામાં આવી છે.