કોરોનાથી (Corona) બચવા સરકારે કોવિશિલ્ડ (Covishield) અને કોવેકસીન (Covexin) એમ બે રસી ઉપલબ્ધ કરી લોકોને રસી (vaccine) લેવા અપીલ કરી હતી. શરુઆતના તબક્કામાં લોકો રસી લેવામાં ડરતા હતા. ત્યારે સરકારે નિયમો બનાવ્યા બાદ મોટા ભાગના લોકોએ રસી મુકાવી હતી. જો કે આરોગ્ય વિભાગના (Department of Health) જ કેટલાક કર્મચારીઓ સરકારે કારેલ કામગીરી પર પાણી ફેરવી રહ્યા છે. વલસાડ આરોગ્ય વિભાગના કેટલાક બેદરકાર કર્મચારીઓ લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરતા હોવાની લોકોમાં અવાર નવાર ફરિયાદો ઉઠતી રહે છે. છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી. યોગ્ય પગલાં ન લેવાને કારણે કેટલાક આરોગ્ય કર્મીઓ કામગીરીમાં લાપરવાહી બતાવી રહ્યા છે અને જીવલેણ કોરોના સામે રક્ષણ આપનાર રસી બાબતે પણ બેદરકાર બન્યા છે.
તાજેતરમાં એક વેપારીના પુત્રે રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં આરોગ્ય વિભાગે ફેક એન્ટ્રી કરી વેપારીના મોબાઇલ પર રસી લીધા હોવાનો મેસેજ કરતા મામલો બીચકયો છે. વલસાડ શહેરમાં રહેતા એક વેપારીના 13 વર્ષીય દીકરાને કોરોના રસીનો બીજો ડોઝ આપ્યા વગર રસી અપાઇ ગઇ હોવાની આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇ એન્ટ્રી કરી નાખવામાં આવી છે. જેને લઇને વેપારીના મોબાઇલ ફોન ઉપર સર્ટી મળતા તેઓએ આરોગ્ય વિભાગને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી.
વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારીએ અનીલ પટેલે ફરિયાદી પાસેથી જરૂરી પુરાવા મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં ફરિયાદીની ફરિયાદ બરાબર હતી અને આરોગ્ય કર્મીઓની ભૂલ સ્પષ્ટ થઇ હતી. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાણીએ આરોગ્ય કર્મચારીઓને ફેક એન્ટ્રી ન કરવા વારંવાર સૂચનાઓ આપી છે. તેમ છત્તા કર્મચારીઓ દ્વારા ખોટી રીતે એન્ટ્રી કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે.
પોતાની જવાબદારી બાબતે બેદરકાર બનેલા આને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 3 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ બજાવી કર્મચારીઓના જવાબ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે આશા વર્કર સહીત ત્રણ કર્મચારીઓને નોટિસ આપી પોતાની કામગીરી પર લીપાપોતી કરી પોતાનો લુલો બચાવ કર્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.