વડોદરાના રણછોડરાયજીના વરઘોડામાં આ વર્ષે તોપ ફુટશે કે નહીં? કોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસ કમિશનરે તોપનું કર્યુ નિરીક્ષણ

વડોદરામાં આવેલા ઐતિહાસિક રણછોડજી મંદિરની વિજયયાત્રા નિમીત્તે દર વર્ષે નીકળતા વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા 150 વર્ષ જૂની છે. જો કે છેલ્લા 29 વર્ષથી આ પરંપરા પર રોક લગાવી દેવામાં આવી છે. આ અંગે મંદિરના પૂજારીએ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા એક મહિના પહેલા જ આ મહત્વપૂર્ણ હુકમ કરી દેવામાં આવ્યો છે.

વડોદરાના રણછોડરાયજીના વરઘોડામાં આ વર્ષે તોપ ફુટશે કે નહીં? કોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસ કમિશનરે તોપનું કર્યુ નિરીક્ષણ
| Edited By: | Updated on: Dec 06, 2024 | 4:53 PM

વડોદરાના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા રણછોડરાયજી મંદિરના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા 150 વર્ષ જૂની છે. પરંતુ, 29 વર્ષ પહેલા વરઘોડા દરમિયાન તોપ ફોડતી સમયે અકસ્માત સર્જાતા પરંપરા પર રોક લગાવી દેવામાં આવી હતી. જેની સામે મંદિરના પૂજારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે એક મહિના પહેલા હુકમ કર્યો હતો. જેમાં પોલીસની મંજૂરી મેળવ્યા બાદ તોપ ફોડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઈ આજે વડોદરા પોલીસ કમિશનર મંદિર પર પહોંચ્યા હતા અને તોપનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, મંજૂરીનો નિર્ણય હાલ પૂરતો પેન્ડિંગ રખાયો છે.

29 વર્ષથી બંધ રહેલી તોપ ફોડવાની મંજુરી માંગી હતી

વડોદરાના રણછોડરાયજી મંદિરના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા સુરક્ષા કારણોસર 29 વર્ષ પહેલા બંધ કરાવી દેવામા આવી હતી. કોર્ટે પોલીસ વિભાગની મંજૂરી સાથે તોપ ફોડવાનો એક માસ પહેલાં હુકમ કર્યો હતો. મંદિર દ્વારા કોર્ટના હુકમને આવકારવાના ભાગરૂપે 11 ડિસેમ્બરના રોજ તોપને સલામી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ, શહેર પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવાની મંજૂરી આપવામાં ન આવી હતી. દરમિયાન આજે પોલીસ કમિશનર દ્વારા મંદિરમાં પહોંચી તોપનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તોપના નિરીક્ષણ બાદ નિર્ણય લેવામાં આવશે

કોર્ટના હુકમ બાદ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર રણછોડરાયજી મંદિર પહોંચ્યા હતા. અહીં રાખવામાં આવેલી ઐતિહાસિક તોપનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યું હતું કે, આજે મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા બાદ મહંતશ્રી સાથે વાતચીત કરી છે. કોર્ટના આદેશ બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખી જે નિર્ણય લેવાનો છે તે ચર્ચાના અંતે લેવાશે.

29 વર્ષ પહેલા અકસ્માત બાદ પરંપરા બંધ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, વડોદરાના રણછોડરાયજી મંદિરમાં છેલ્લે 1995માં કારતક સુદ અગિયારસના વરઘોડામાં તોપ ફોડવામાં આવી હતી. આ સમયે તોપમાંથી તણખા ઉડતા બે વ્યક્તિ સામાન્ય દાઝ્યા હતા. આ ઘટના બાદ 150 વર્ષથી ચાલતી આ પરંપરા અચાનક બંધ થતા ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે આ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા. અને કોર્ટ તાજેતરમાં તોપ ફોડવાની હોય ત્યારે પોલીસ વિભાગની મંજૂરી લીધા બાદ તોપ ફોડવાનો હુકમ કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:01 pm, Fri, 6 December 24